
ચિંતન
સ્થૂળ આંખોથી નહીં, પણ સત્યની શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ કે કેટલા જન્માન્તરોના અનુભવ મેળવી, જન્મમરણના લાગટ કેટલા ફેરા ફર્યા પછી તમે અધોગતિમાંથી ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચમાંથી ઉચ્ચતર સ્થિતિ મેળવી છે. તમારાં જ કર્મ અને વિચાર વડે, તમારા મનનાં હંમેશ બદલાતાં રહેલાં વલણોનું બંધારણ થયું છે, અને અત્યારની તમારી સ્થિતિનો કેટલો આધાર તમારા વિચાર અને કર્મ ઉપર છે એ તમે જોશો ત્યારે તમે તમારી પ્રકૃતિ સમજશો. આ રીતે પોતાનો સ્વભાવ સમજ્યા પછી તે જ ધોરણે તમે બીજાઓના સ્વભાવ સમજી શકશો, તેમના પર કરુણા રાખી શકશો અને તેમની સુખી કે દુ:ખી અવસ્થાનાં કારણો જાણી શકશો.
જો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો.- જેમ્સ એલન
હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે.- હેન્રી થૉરો






