બુધવાર, 3 જૂન, 2009

ચિંતન


ચિંતન
સૃષ્ટિમાં વસ્તુઓ નાની નાની ચીજોની બનેલી છે. મોટી વસ્તુની પરિપૂર્ણતાનો આધાર નાની વસ્તુની પૂર્ણ દશા પર રહેલો છે. ધૂળની રજ વિના દુનિયા ઘડાત નહીં. આખી દુનિયા ખોડ વિનાની દીસે છે તેનું કારણ એ છે કે ધૂળની રજથી પરિપૂર્ણ છે. નાની બાબતોમાં બેદરકાર રહેવાથી મોટી બાબતોમાં ગોટાળો થાય છે. હિમનો કણ તારાના જેવો જ સર્વાંગશુદ્ધ હોય છે. ઝાકળનું બિંદુ ગ્રહના જેવું આકાશશુદ્ધ હોય છે. સુક્ષ્મ જંતુનો ઘાટ માણસના જેટલી જ ચોક્કસાઈથી ઘડાયેલો હોય છે. સારાંશમાં, રોજના વ્યવહારમાં સામાન્ય જણાતી બાબતો કેટલી અગત્યની છે તે મહાન વ્યક્તિ સમજે છે. તેવો માણસ કાંઈ છોડી દેતો નથી, ઉતાવળ કરતો નથી, કશાથી નાસી છૂટવા માગતો નથી, જે ફરજ આવે તે ધ્યાન દઈ બજાવે છે. તે કામ લંબાવતો નથી કે જેથી તેને પસ્તાવું પડે. હાથ પરનું કામ પૂરેપૂરું કરવાથી દેહાભિમાન વગરનો પ્રભાવ એકત્ર થાય છે, જેને પ્રભુતા કહે છે.સાચું અને હૈયે હોય તેવું જ બોલજો. કોઈ પણ રીતે કોઈને છેતરશો નહીં. નવરા બેઠા ગપ્પાં મારવાની આદત છોડી દો. બીજાઓના ઘરસંસારની, ખાનગી બાબતોની વાતો કરશો નહીં. બીજા પર આળ ચડાવશો નહીં કે ગુનાનો આરોપ મૂકશો નહીં. જેઓ નીતિના માર્ગે ચાલતા નથી તેમને દોષ દેશો નહીં. તેમના તરફ દયાભાવ દર્શાવી તમે તમારા માર્ગે જજો.
સ્થૂળ આંખોથી નહીં, પણ સત્યની શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ કે કેટલા જન્માન્તરોના અનુભવ મેળવી, જન્મમરણના લાગટ કેટલા ફેરા ફર્યા પછી તમે અધોગતિમાંથી ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચમાંથી ઉચ્ચતર સ્થિતિ મેળવી છે. તમારાં જ કર્મ અને વિચાર વડે, તમારા મનનાં હંમેશ બદલાતાં રહેલાં વલણોનું બંધારણ થયું છે, અને અત્યારની તમારી સ્થિતિનો કેટલો આધાર તમારા વિચાર અને કર્મ ઉપર છે એ તમે જોશો ત્યારે તમે તમારી પ્રકૃતિ સમજશો. આ રીતે પોતાનો સ્વભાવ સમજ્યા પછી તે જ ધોરણે તમે બીજાઓના સ્વભાવ સમજી શકશો, તેમના પર કરુણા રાખી શકશો અને તેમની સુખી કે દુ:ખી અવસ્થાનાં કારણો જાણી શકશો.
જો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો.- જેમ્સ એલન
હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે.- હેન્રી થૉરો

બુધવાર, 27 મે, 2009

maa

એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. ત્રણચાર મહિના પછીની એક રાતે અચાનક મમ્મીની આંખ ખૂલી ગઈ.. પોતાના એકના એક દીકરાના સુખ માટે એણે જે કાંઈ વેઠ્યું હતું એ બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. હીબકે હીબકે એ રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે એ પોતાની મેળે જ અડધા કલાકમાં શાંત થઈ ગઈ. ઓરડામાં લાઈટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કૅલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. ઓહ ! આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે અને રાત્રિના આ જ સમયે મેં મારા લાલને જન્મ આપ્યો હતો. એ પોતાની લાગણીને રોકી ન શકી કારણ કે આખરે એ મા હતી, લાગણીનો મહાસાગર હતી. પલંગ પરથી ઊભી થઈને એ ઓરડામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે છેડે દીકરો આવ્યો.‘કોણ ?’‘બેટા ! હું તારી મમ્મી !’‘પણ આટલી મોડી રાતે ફોન કરવાની તારે જરૂર શી હતી ?’‘બેટા ! જરૂર તો કાંઈ નહોતી. પણ ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગયું એટલે શુભાશિષ પાઠવવા તને ફોન કર્યો.’‘એ શુભાશિષ તો સવારનાય આપી શકાતી હતી. અત્યારે રાત્રે ત્રણ વાગ્યે આવું નાટક કરવાની તારે શી જરૂર હતી ?’‘બેટા ! માની લાગણીને નાટક કહેવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ મેં અત્યારે ફોન કર્યો છે.’‘પણ તને ખબર છે ? અત્યારે ફોન કરીને તેં મારી ઊંઘ બગાડી નાખી છે !’‘બેટા ! મારા અત્યારે ફોન કરવાથી તારી ઊંઘ બગડી છે એ વાત સાચી પણ ત્રીસ વરસ પહેલાં મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી એ તને યાદ છે ખરું ?’ આટલું કહી મમ્મીએ રડતાંરડતાં ફોન મૂકી દીધો.
‘લખી રાખો આરસની તકતી પર’ પુસ્તકમાંથી સાભાર

મંગળવાર, 26 મે, 2009

ગુજરાતી ગઝલ

ગઝલ

જિંદગાની એક મોટી હોડ છે

જિંદગાની એક મોટી હોડ છે,

બસ કબર સુધીની અંતે દોડ છે!

જે સફરનો હું સમજતો અંત તે,

જિંદગીનો સાવ નવતર મોડ છે.

આમ સપનાં તો ઘણાં છે દિલ મહીં,

ખાટલે તો ઊંઘની બહુ ખોડ છે.

કામ નહિ લાગે ઉતાવળ આપની,

વાર છે ફળને, હજી એ છોડ છે.

જિંદગીને ના સરળ સમજો તમે,

કેમ જાશો, સિંહની એ બોડ છે.
- રાકેશ ઠક્કર

http://www.gujaratikavita.com/

(www.gujaratikavita.com પર 25 મે ના રોજ પ્રગટ થયેલ ગઝલ. સંપાદન- કવિ શ્રી સુધીર પટેલ (અમેરિકા))

Contact Email- rmtvapi@yahoo.co.in

શુક્રવાર, 22 મે, 2009

Gazal

પગ પર ચાલવું અખતરો છે,
ત્યાં સુધી પ્હોચવું અખતરો છે.
એય ખતરાથી ખાલી તો ક્યાં છે ?
એમના થૈ જવું અખતરો છે !
ખાતરી જો ના હોય તો કરજો,
મૌનને પાળવું અખતરો છે.
હો ભલે બસ તમે ને દિવાલો,
કંઈ પણ બોલવું અખતરો છે !
મૃત્યુની વાત તો પછીની છે,
આ જીવન જીવવું અખતરો છે.
એ છે ઘટના સમયથી પર ‘સુધીર’
ખુદ મહીં જાગવું અખતરો છે !
- સુધીર પટેલ

રવિવાર, 17 મે, 2009

[ ‘હોમ ટિપ્સ’ એ અનોખું પુસ્તક છે. આ પુસ્તકમાં રસોઈ ટિપ્સ, આરોગ્ય ટિપ્સ, હોમકેર ટિપ્સ, સૌંદર્ય ટિપ્સ, જાળવણી ટિપ્સ, સ્પેશ્યલ ટિપ્સ અને જીવન ટિપ્સ એમ સાત વિભાગોમાં આજના ઈન્સ્ટન્ટ યુગમાં અનિવાર્ય એવી સુંદર ટિપ્સ આપવામાં આવી છે. પુસ્તકના લેખક શ્રી રાકેશભાઈ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ અખબારના કોલમિસ્ટ છે. ‘ફૂલવાડી’, ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં તેમનું બાળસાહિત્ય પ્રકાશિત થતું રહે છે. આજે તેમના ‘હોમ ટિપ્સ’ પુસ્તકમાંથી માણીએ પ્રત્યેક વિભાગમાંની કેટલીક ઉપયોગી ટિપ્સ ! રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રી રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rmtvapi@yahoo.co.in અથવા આ નંબર પર +91 9099095701 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[ક] રસોઈ ટિપ્સ :
[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.
[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.
[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
[5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.
[6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.
[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.
[8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.
[9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.
[10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.
[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.
[12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.
[13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.
[14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે.
[15] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે..
[ખ] આરોગ્ય ટિપ્સ
[1] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.
[2] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.
[3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.
[4] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.
[5] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.
[6] ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.
[7] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.
[8] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.
[9] રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીને પીવાથી ફાયદો થશે.
[10] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.
[11] સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
[12] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.
[13] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.
[14] એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.
[15] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો..
[ગ] હોમકેર ટિપ્સ
[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.
[2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.
[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.
[4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.
[5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.
[6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.
[7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.
[8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.
[9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.
[10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી..
[ચ] સોંદર્ય ટિપ્સ
[1] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે.
[2] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.
[3] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.
[4] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ કરો. વાળની ચમક વધી જશે.
[5] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ નાખો.
[6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.
[7] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.
[8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.
[9] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.
[10] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે..
[છ] જાળવણી ટિપ્સ
[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.
[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.
[3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.
[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.
[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.
[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.
[7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.
[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.
[9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.
[10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે..
[જ] સ્પેશ્યલ ટિપ્સ
[1] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.
[2] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.
[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.
[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.
[5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા..
[ઝ] જીવન ટિપ્સ
[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.
[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.
[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.
[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.
[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.
[કુલ પાન : 142. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પાટીલ બુક સ્ટોલ, અમીરસ હોટલની બાજુમાં, કોપરલી રોડ, જી.આઈ.ડી.સી., વાપી.

varsadma

વરસાદમાં
ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.
પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !
ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !
સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.
જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.
છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !

- સુધીર પટેલ

મંગળવાર, 12 મે, 2009

www.readgujarati.com
વાંચો સુરતથી પ્રગટ થતા 'ગુજરાતમિત્ર' અખબારમાં રાકેશ ઠક્કરની કોલમો.
દર બુધવારે 'ફિલ્મ ટી.વી.'
અને
રવિવારે 'ફિલ્મોગ્રાફ'.

શુક્રવાર, 24 એપ્રિલ, 2009

home tips

હોમટિપ્સ
જે વ્યકિતને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાઉડર નાખીને એક ચમચી પીવો.
***
કપૂરનું તેલ ફર્નિચરના ખૂણાઓ પર લગાવવાથી માંકડ અને વાંદા થતા નથી.
***
કપડા પર પરસેવાના ડાઘ પડ્યા હોય તો નવસારવાળા પાણીમાં કપડા બોળવાથી ડાઘ દૂર થાય છે.
*****
- રાકેશ ઠક્કરના પ્રથમ પુસ્તક ‘હોમટિપ્સ’ માંથી
E mail- rmtvapi@yahoo.co.in

ગુરુવાર, 23 એપ્રિલ, 2009

sawal jawab

સવાલ- ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી કેમ લાગે છે?
જવાબ-
કોઇ પણ વસ્તુને પોતાનો સ્વાદ હોતો નથી. વિવિધ જાતના સ્વાદ પારખવા માટે જીભ પર વિવિધ પ્રકારની સ્વાદગ્રંથીઓ છે. મીઠાઇ ખાઇએ એટલે તેના કણો મીઠો સ્વાદ પારખતી ગ્રંથીમાં પ્રવેશે છે. એટલે ત્યાંના સ્વાદકોષો તેમને ઓળખી કાઢે છે. બીજી જ પળે તેઓ મગજને એ સ્વાદનો સંદેશ રવાના કરે છે. કેમ કે મીઠો, ખાટો કે કડવો એમ દરેક સ્વાદ પારખવાનું કામ તો છેવટે મગજનું છે. હવે એ જાણી લો કે વધુ પડતા મીઠા સ્વાદને કારણે જીભના જ્ઞાનકોષો એક વાર મહત્તમ હદે ઉત્તેજીત થાય છે. એટલે પછી તેના કરતાં ઓછો મીઠો સ્વાદ તેમને જલદી ઉત્તેજીત કરી શકતો નથી. તેથી મીઠાઇ કે કોઇ ગળી વસ્તુ ખાધા પછી ચાનો ઘૂંટડો મોંમાં જાય ત્યારે તેની થોડીક ઓછી મીઠાશને સ્વાદકોષો ધ્યાન પર લેતાં નથી. પરિણામે ગળી વસ્તુ ખાધા પછી ચા મોળી લાગે છે.
- રાકેશ ઠક્કરના નવા પુસ્તક ‘મનના સવાલ વિજ્ઞાનના જવાબ’ માંથી

સોમવાર, 20 એપ્રિલ, 2009

gujarati gazal

ગુજરાતી ગઝલના શેર

જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઇ જુઓ,
ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઇ જુઓ


હોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની,
મનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઇ જુઓ

****
ભેદ જાણી મૃત્યુનો શું કરશું સુધીર?,
ક્યાં હજી જાણી શક્યો છું આ હયાતી!

*****
કહો દરિયાને કે એ ગર્વ છોડી શાંત થઇ બેસે,
પી લેશું એક ઘૂંટે, કાં તરસ મારી જગાડે છે.

- સુધીર પટેલ

બુધવાર, 8 એપ્રિલ, 2009

શનિવાર, 4 એપ્રિલ, 2009

gazal ઉનાળો

કહે છે, ઉનાળો તો આંસુઓ સારેને કારણ પૂછું છું તો કપડાં નિતારે.
તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાંએ હમણાં બતાવું કે કાલે સવારે ?
અહીં ક્યારનો એમ બેસી રહ્યો છુંકે પડછાયો મારો છે સામે કિનારે.
ઘણી વાર એમ જ ગગનમાં જઉં છુંમને ચાંદ પોતાના ઘરમાં ઉતારે
હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળુંભલી આંખ મારા જ જેવું વિચારે.
અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છેએ જાણીને જે કોઈ આવે, પધારે.
સમય હોય ડંકા તો ચાલો વગાડોઅમે જોઈએ બાર વાગે છે ક્યારે ?
Manhar modi

સોમવાર, 30 માર્ચ, 2009

ગુરુવાર, 26 માર્ચ, 2009

krishna



તું કૃષ્ણ નામ બોલ,
ન બીજું કશું બોલ,
કૃષ્ણ નામ અમોલ.


તું કૃષ્ણ નામ જપ,
ન કર બીજી ગપ,
કૃષ્ણ નામ છે તપ.

કૃષ્ણ નામ છે સદ.
તું કૃષ્ણ નામ વદ,
ન બોલ અસદ,
તું કૃષ્ણ નામ ભણ,
ન બીજું ગણગણ,
કૃષ્ણ નામ છે શરણ
.

તું કૃષ્ણ નામ લખ,
ન બીજું નામ લખ,
કૃષ્ણ નામ અલખ
.

*તરુલતા પટેલ

બુધવાર, 25 માર્ચ, 2009

કુદરત

કયાં સુધી કરીશું વિકાસના નામે વિનાશ?

કયાં ગઇ આપણી કુદરત પ્રત્યેની કુમાશ?

કયાંથી થશે જંગલ વિના મંગલ આપણું?

ખુદનું ઘર બાળીને શાને કરો છો તાપણું?

- અનામી

geet kavita

આપણે તો એટલામાં રાજી

આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે

ક્યાંક એક કૂંપળ તો તાજી

આપણે તો એટલામાં રાજી
એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે,

તો થાય, મળ્યું આખું આકાશ

એકાદું ગીત કોઈ મોસમનું ગાય

તો ય રોમ રોમ ઊણી પલાશ

એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે

ત્યાં રણઝણતી ઝાલરી વાગી

આપણે તો એટલામાં રાજી
પાણીની એકાદી છાલકમાં હોય કદી

રીમઝીમ રેલાતો મલ્હાર

છાતીમાં નાંગરેલ સપનામાં હોય

કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર

એક એક કૂંપળમાં જંગલ ઊભરાયા

કોઈ પૂછે તો કહીએ કે હાજી

આપણે તો એટલામાં રાજી
RAMNIK SOMESHWAR

મંગળવાર, 24 માર્ચ, 2009

website gazal

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ

ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

અદમ ટંકારવી

શુક્રવાર, 20 માર્ચ, 2009

gujarati gazal

રકતમાં બોળી કલમ
અવકાશથી અવકાશને ભરતો રહ્યો,
તારા મિલનની આશમાં ખરતો રહ્યો.
ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો,

હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો.
રાજી થયો પાનાં જીવનનાં ઓળખી,

હું દાવ જોકરનો સદા રમતો રહ્યો.
ક્યાંયે જુદી ભાસે દશા તો આપણી,

તું આમ બળતી હુંય તો બળતો રહ્યો.
જો હો વ્યથા કે કોઈની પણ હો કથા,

બસ રક્તમાં બોળી કલમ લખતો રહ્યો.
sunil shah

સુવિચાર

લોકો સાપથી ડરે છે, તેવી જ રીતે જૂઠ બોલનાર માણસથી પણ ડરે છે. સંસારમાં સત્ય જ સૌથી મોટો ધર્મ છે, તે જ બધી વસ્તુઓનું મૂળ છે. – વાલ્મીકિ