બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે ! અને વળી પાછી અશાંતિ સર્જવાની તૈયારી-શરૂઆત કરી દે છે.
આજનો માણસ અશાંત છે, બેચેન છે, વ્યગ્ર છે, કારણ કે તે બહારથી નહીં પણ અંદરથી વિક્ષુબ્ધ છે. એણે અપરાજેય પ્રકૃતિ પર વિજય મેળવ્યો, વંધ્ય અને ખરબચડી ભૂમિને મબલક પાક આપતી બનાવી, સુખ-સગવડોના અંબાર ખડકી દીધા, પણ એ બધા પાછળ હતી સુવિધાઓ પામવાની સંયમહીન ભૂખ. એ વિવેકહીન ભૂખે ભૌતિક યુગના માનવીના વ્યક્તિત્વને વેરવિખેર કરી નાખ્યું છે. વિવેકશૂન્ય વિકાસ વિનાશની જનની છે એ વાત આપણે સાવ વીસરી ગયા નથી શું ?
શાંતિ માનવજીવન સમગ્ર વિશ્વ માટે પરમ પાવન અને આવકાર્ય સુખસ્ત્રોત છે અને એ શાંતિની પ્રાપ્તિનો કીમિયો છે, આવશ્યકતા અને અપેક્ષાઓનું ‘સ્ટેગરિંગ’ અને ક્રમશ: આત્મસંયમ. વીજળીનું સ્ટેગરિંગ સહેવા આપણે તૈયાર છીએ, પણ વૃત્તિઓનો સ્વૈરવિહાર રોકવા આપણે તૈયાર નથી. આત્મસંયમનું અજવાળું જ જીવનમાં ઊભરાતાં અંધારાને ઉલેચી શકે.જે વાત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શાંતિની સમસ્યાને લાગુ પડે છે, તે જ વાત વિશ્વશાંતિ અથવા દેશ-દેશ વચ્ચેની શાંતિને લાગુ પડે છે. ગાંધીજીએ તેથી જ કહ્યું છે કે જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી, એમ માનવા બરાબર છે. અત્યાર સુધી જે ઈલાજો અજમાવવામાં આવ્યા છે, તે એળે ગયા છે, એનું કારણ એ છે કે જેમણે શાંતિ માટે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન તેમને રહ્યું નથી, એવું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઈ રસાયણી સંયુક્ત દ્રવ્ય તૈયાર થઈ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતો પૈકી થોડીક જ પળાઈ હોય તો શાંતિની સ્થાપના ન થઈ શકે.
‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 22 જુલાઈ, 2009
શાંતિપ્રાપ્તિનો કીમિયો
મંગળવાર, 21 જુલાઈ, 2009
સોનેરી સુભાષિતો
સોનેરી સુભાષિતો
* સાપ, અગ્નિ, દુર્જન, શાસક, જમાઈ, ભાણેજ, રોગ અને શત્રુ આટલાની ક્ષુદ્ર (સામાન્ય) ગણી કોઈ દિવસ ઉપેક્ષા ન કરવી.
* વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.
* જે કાર્ય કરવાથી ભૂત, વર્તમાન ને ભવિષ્ય એ ત્રણ કાળે સ્થિર સુખ પ્રાપ્ત થાય, અર્થાત વધુ ઉદાર અર્થમાં મૃત્યુ પછી સ્વર્ગ મળે અને જીવતાં સ્થિર સુખ અને શુભકીર્તિ પ્રાપ્ત થાય એવાં જ કાર્યો કરવાની નાનપણથી ટેવ પાડવી.
* પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહન પર સવારી સારી – કારણ કે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોથી ઊંઘું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે (અતિ) દુ:ખકારક છે.
* આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે માટે તે ન કરવી : નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી; અન્યને ઘેર વગર બોલાવ્યે વારંવાર જવું; જ્ઞાતિ તથા જ્ઞાતિના કોઈ સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું; તથા સંપત્તિનાશ થયા પછીનો દુ:ખદ ગાળો.
શુક્રવાર, 17 જુલાઈ, 2009
‘તારીખ અને તવારીખ’
બુધવાર, 8 જુલાઈ, 2009
ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો
બોધ : તમારા મૂળભૂત સ્વભાવને ઓળખો અને એ પ્રમાણે વર્તો.
મંગળવાર, 30 જૂન, 2009
ગઝલ
માણસ નથી, સુવ્વર છે; ગિરફતાર કરી લ્યો!
એ જીવતું દોજખ છે; ગિરફતાર કરી લ્યો!
કીડો છે નરકનો ને એ મરવાનો નરકમાં;
ઇન્સાનનો દુશ્મન છે; ગિરફતાર કરી લ્યો!
ફુત્કાર કરે છે તો ઝેર ઝેરની ધાર;
એ ગોબરો અજગર છે; ગિરફતાર કરી લ્યો!
બાળે છે એ પુષ્પોને, ટહુકાને, વિહગને;
ભડભડતો એ આતશ છે; ગિરફતાર કરી લ્યો!
શયતાનની નવી આવૃત્તિ થઇને એ આવ્યો;
ભૂલો કે એ માણસ છે; ગિરફતાર કરી લ્યો!
- ભગવતીકુમાર શર્મા
મંગળવાર, 23 જૂન, 2009
Gazal
બાળકોના હાસ્યમાં એ છે સમાયા,
જોર જીવનમાં ઘણું છે આમ તો ભૈ,
આમ તો માની ગયા એ ભૂલ થઇ’તી,
લે ઉદાસી તો ઉડી જાશે ક્ષણોમાં,
પ્રેમની સાચી નિશાની એ જ છે રે,
- રાકેશ ઠક્કર
શુક્રવાર, 19 જૂન, 2009
કથા
મન લાગે ત્યાં સુખ
હિમાલયની તળેટીમાં સહજાનંદ નામના એક મોટા તપસ્વીનો આશ્રમ હતો. તેમના શિષ્યો પણ તેમના જેવા ત્યાગી અને જ્ઞાની હતા. એકવાર મગધના રાજાએ તપસ્વીને આમંત્રિત કર્યા. પહેલા તો તપસ્વીએ ઇનકાર કર્યો. પરંતુ રાજાએ વારંવાર આગ્રહ કરતાં આમંત્રણ સ્વીકાર્યું. મગધમાં તપસ્વી અને તેમના શિષ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એક મહિના બાદ તપસ્વીએ પાછા આશ્રમ જવાની ઇચ્છા પ્રગટ કરી. રાજાએ થોડું વધારે રોકાવા આગ્રહ કર્યો. રાજાના પ્રબળ આગ્રહ સામે તપસ્વી ઢીલા પડ્યા. તપસ્વીનું મન વારેવારે આશ્રમ અને શિષ્યોને યાદ કરતું હતું. મગધમાં તપસ્વીની તબિયત લથડી. રાજાએ વૈદોની ફોજ ખડી કરી દીધી. પણ તપસ્વી સાજા ન થયા. છેવટે તેમના આગ્રહને કારણે રાજાએ આશ્રમ જવા દીધા. થોડા દિવસો પછી રાજા જ્યારે તપસ્વીની તબિયત જોવા આવ્યા ત્યારે તપસ્વીને તંદુરસ્ત જોઇને નવાઇ સાથે કહ્યું. મેં આપની દવા કરાવવામાં કોઇ કસર રાખી નહોતી, છતાં તમે ત્યાં સાજા ન થયા અને અહીં આવીને આટલા જલદી કેવી રીતે સાજા થઇ ગયા? ત્યારે તપસ્વી હસીને બોલ્યા,’હું તપસ્વી છું, એટલે સુખ-સુવિધા મને સાજો કરવાને બદલે માંદો જ પાડશે. ત્યાં તમારા સૈનિકો કર્તવ્યના ભાગ રૂપે મારી સેવા કરે, પણ અહીં શિષ્યો તો પ્રેમ અને શ્રધ્ધાપૂર્વક સેવા કરે છે, જેમાં કોઇ દેખાડો કે ભય હોતો નથી. એટલે મારું મન જ્યાં લાગે એવા આ નિર્મળ માહોલમાં મારા આત્માને સંતોષ મળે છે. એટલે મારી માંદગી જતી રહી. રાજન, જ્યાં મન લાગે ત્યાં જ સુખ મળે છે.
મંગળવાર, 16 જૂન, 2009
લોકકથા
એક લોકકથાએક માદા શિયાળ બચ્ચાને જન્મ આપીને મૃત્યુ પામી. શિયાળના આ બચ્ચાને એક સિઁહણ એની સાથે લઇ ગઇ અને પોતાના શિશુ સાથે જ ઉછેર્યુઁ. બધા સાથે રહે, સાથે રમે અને તોફાન પણ કરે. સિઁહ- શિયાળનો ફરક એ બચ્ચાઓમાં દેખાતો નહિ.
પણ, એક દિવસ જંગલમાં એમની સામે હાથી આવ્યો. સિંહના બચ્ચાં તો હાથીનો શિકાર કરવા નહોર તૈયાર કરવા લાગ્યા. પણ શિયાળનું બચ્ચું ડર પામીને ભાગી ગયું. તેણે સિંહણ માતાને કહ્યું, ‘મોટાભાઇ તરીકે મેં આપેલી શિખામણ નાના ભાઇઓએ સ્વીકારી નહિ. હવે શું થશે?’
સિંહણે કહ્યું કે એમાં તારો વાંક નથી. તું મને ધાવીને ઉછર્યું છે. પણ મૂળ પ્રકૃતિ કેવી રીતે દૂર થાય?
તું વીર છે, ચતુર છે, વિદ્વાન છે, દેખાવડો પણ છે; પરંતુ જે કુળમાં તું જન્મ્યો છે તે કુળના લોકો હાથીને હણી નથી શક્તા.
માત્ર એક સાથે રહેવા કે ઊછરવાથી સમાન નથી બની શકાતું.
ગુરુવાર, 11 જૂન, 2009
સુધીર પટેલની ગઝલ
ઋણી હોય છે! આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે!
જંગલોમાં જઇ કરે તપ એને ક્યાંથી હો ખબર?,
શ્હેરની આ જિંદગી પણ એક ધૂણી હોય છે!
વાત માણસની સરળકોણી થશે કયારેય પણ?,
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે!
હું ય માણસ છું, મને સ્વીકાર સૌ ભૂલો સમેત,
તું ય જાણે છે, કોઇ કયાં સર્વગુણી હોય છે!
આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે!
સુધીર પટેલ
બુધવાર, 10 જૂન, 2009
રાકેશ ઠક્કરના નવા પુસ્તકનો પરિચય
રાકેશ ઠક્કરના નવા પુસ્તક 'મનના સવાલ વિજ્ઞાનના જવાબ' નો પરિચય www.readgujarati.com ના 11 જૂનના લેખમાંથી સાભાર.

[ શ્રી રાકેશભાઈના પુસ્તક ‘હોમ ટિપ્સ’ ને આપણે થોડા સમય અગાઉ માણ્યું હતું. તેનાથી કંઈક અલગ પ્રકારનું આ તેમનું બીજું પુસ્તક જાણે કે સામાન્ય જ્ઞાનનો ખજાનો છે ! ઘણી જાણવા જેવી બાબતોને આવરી લેતું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ આપવા બદલ રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. તેઓ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ અખબારના કોલમિસ્ટ છે. ‘ફૂલવાડી’, ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં તેમનું બાળસાહિત્ય પ્રકાશિત થતું રહે છે. આપ તેમનો આ સરનામે rmtvapi@yahoo.co.in અથવા આ નંબર પર +91 9099095701 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ?
કીડીના રાફડામાં બધું જ કામકાજ ગંધના આધારે થાય છે. કીડીને કોઈ જગ્યાએ ખોરાકનો મોટો જથ્થો મળી જાય તો પહેલું કામ તે ખોરાક પર ગંધ છાંટવાનું કરે છે. એ પછી રાફડાની અન્ય કીડીઓને સમાચાર આપવા માટે પાછી વળતી વખતે રસ્તામાં પણ ઠેકઠેકાણે ગંધ છોડતી જાય છે. જેથી ખોરાક શોધવા નીકળતી દરેક કીડી ગંધ પારખીને એજ રસ્તે ચાલે. આશ્ચર્યની વાત એ છે કે કીડીના દરેક રાફડાને પોતાની ચોક્કસ ગંધ હોય છે. માટે રસ્તામાં ક્યારેક સામી મળતી કીડી પોતાના જ રાફડાની છે કે કેમ તે જાણવા એકબીજીને અચૂક સૂંઘી લે છે. કોઈની ગંધ જુદી હોય તો એ કીડીને દુશ્મન રાફડાની હુમલાખોર સમજી તેનો અંત લાવી દે છે. પણ એ જ રાફડાની એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો તો તેમાં ગંધ ન જણાતાં રાફડાની અન્ય કીડીઓ તેને પારકી ગણી તેનો અંત લાવી દે છે. એટલે દરેક કીડીએ પોતાના રાફડાની ગંધ લાયસન્સની જેમ સાથે રાખવી પડે છે.
[2] એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?
એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક ગણાય છે. તેમ છતાં એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકેલી ખાદ્યસામગ્રી લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક હોવાથી એવું માનવાને મન થાય કે આંતરિક ગરમીને તેની આરપાર નીકળી ખુલ્લી હવામાં ભળી જતાં વાર ના લાગે. આમ છતાં પોલિશ કરેલી એલ્યુમિનિયમ ફોઈલનો ગુણધર્મ જુદો છે. ગરમીને તે પરિવર્તિત કરી જાણે છે. ગરમીનાં મોજાંને તે પરાવર્તિત કરી પાછા મોકલે છે. ફોઈલના બંધ પેકેટમાં કેદ પુરાયેલી ગરમી તેને કારણે બહાર નીકળી શક્તી નથી. એટલે ખાદ્યસામગ્રી પણ જલદી ઠંડી પડી જતી નથી.
[3] માણસને બગાસાં કેમ આવે છે ?
બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસના અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતાં શ્વાસોશ્વાસ આપમેળે ધીમો પડે છે. પુખ્ત વયના માણસને દર મિનિટે છ લીટર હવા જોઈએ. તેમાંની 15% હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો તેને પહોંચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરી વળે છે. શ્વાસોચ્છવાસનો દર ઘટી જતાં મગજને ગૂંગળામણ થાય એટલે તે બગાસાનો સંકેત આપે છે. અને ઊંડો શ્વાસ લેવા માટે ફેફસાને આદેશ મોકલે છે. ત્યાર બાદ આવતું સરેરાશ બગાસું 5.5 સેકન્ડ સુધી ચાલુ રહે છે. જો એક બગાસાથી મગજને રાહત ન થાય તો બીજું, ત્રીજું અને ચોથું બગાસું પણ આવે છે. ઉપરાઉપરી બગાસાં ખાવા પડે તે ઊંઘ આવવાનો સંકેત છે. ઊંઘ આવ્યા પછી શરીરનું તંત્ર વધારે ઑક્સિજન માગતું નથી. એટલે સામાન્ય રીતે દિવસના સમયમાં બગાસાં આવતાં નથી. સિવાય કે કોઈ કામ કંટાળાજનક લાગતું હોય.
[4] રેસિંગની કાર અવાજ કેમ વધુ કરે છે ?
રેસિંગની કારનો અવાજ અન્ય કારો કરતાં અનેકગણો વધુ હોય છે. સામાન્ય મિકેનિક એવું કારણ આપશે કે રેસિંગની કારનું 700-800 હૉર્સ પાવરનું એન્જિન સામાન્ય મોટર કરતાં સાત-આઠગણું બળવાન હોવાથી બહુ ઘોંઘાટ કરે. પણ ખરો મુદ્દો સાયલન્સરનો છે. મોટરના એન્જિનમાં પેટ્રોલ કે ડીઝલ જેમ બળે તેમ નકામો ગરમ વાયુ એક્ઝોસ્ટ વાટે બહાર ફેંકાતો રહે છે. જોકે, મોટાભાગની રેસિંગ કારમાં મિથાનોલ વપરાય છે. આ ઝંઝાવાતી વાયુ સખત દબાણ સાથે બહાર નીકળી ઘોંઘાટમય અવાજ પેદા કરે છે. જેને શાંત કરવા દરેક મોટરમાં સાયલેન્સર ફીટ કરવું પડે છે. સાયલેન્સરમાં અનેક ખાના હોય છે. જેમાંથી સખત વાયુના પ્રવાહને પસાર થવું પડે છે. અને સાયલેન્સરમાંના ખાના આ વાયુની ગતિને ધીમી પાડે છે. અને બહાર નીકળતો અવાજ એકદમ ઘટી જાય છે. પણ રેસિંગની કાર માટે સાયલેન્સરનો ગેરફાયદો એ બને કે એન્જિનની કાર્યક્ષમતા થોડીક ઘટે. કેમ કે રીવર્સમાં વાયુનું જે દબાણ થાય તેના ધક્કાનો એન્જિને સામનો કરવો પડે છે. એટલે મોટરની સ્પીડ જરાક ઘટી જાય. પણ રેસમાં ભાગ લેતી કારનો મહત્તમ વેગ સહેજ પણ ઓછો થાય તે ન ચાલે. એટલે રેસિંગની કારના એકઝોસ્ટ જોડે સાયલેન્સર ફીટ કરવામાં આવતું નથી.
[5] આંખ સતત પલકારા કેમ માર્યા કરે છે ?
કુદરતે આંખનાં પોપચાંને અનેક કામ સોંપ્યા છે. પહેલું કામ લેન્સ જેવા ડોળાને ચોખ્ખા રાખવાનું છે. કેમેરામાં સ્પષ્ટ દ્રશ્ય ઝીલવા માટે જેમ કાચના લેન્સને સ્વચ્છ રાખવો પડે છે તેમ આંખનો કુદરતી લેન્સ પણ હંમેશાં ચોખ્ખો રહેવો જોઈએ. આથી પોપચાનો દરેક પલકારો ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું એ કે જો ડોળા ભીનાં ન રહે તો હવાના ઑક્સિજનને શોષી શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર આંખનાં ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતો નથી. એટલે તે પુરવઠો બારોબાર હવા દ્વારા મેળવવો પડે છે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાઈ જતા પોપચાં આંખોને રક્ષણ આપે છે. આવાં કાર્યૉ માટે જ કુદરતે પોપચાંને આપોઆપ પલકારા માર્યા કરે એવાં બનાવ્યા છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્ડે 1 પલકારો કરે છે.
[6] ડૉક્ટરો ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે ?
હોસ્પિટલમાં ડૉક્ટર દરદીને તપાસતી વખતે સફેદ કપડાં પહેરે છે. પણ ઓપરેશન વખતે તે યોગ્ય નથી. કેમ કે સફેદ કપડાં પર ક્યારેક પડતો લોહીનો ડાઘ તરત નજરે ચઢે છે. ઓપરેશન પછી આવા લાલભડક ડાઘવાળા કપડાં સાથે ડૉક્ટર બહાર નીકળે ત્યારે દરદીના ચિંતાગ્રસ્ત પરિવારજનોને એ ના ગમે. જો લાલ કપડાં પહેરે તો આખો ડ્રેસ લોહીથી ખરડાયેલો લાગે. કાળા રંગના કપડાં મૃત્યુસૂચક શોકના હોવાથી યોગ્ય નથી. માત્ર ભૂરો-લીલો રંગ જ એવો છે જે લોહીના ડાઘને સહેજ ઘેરા ચોકલેટી જેવા બનાવે છે. તેથી ડૉક્ટરો માટે ઓપરેશન કરતી વખતે લીલા રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા છે.
[7] ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર પ્રતિબંધ કેમ છે ?
વાહન ચલાવતી વખતે મોબાઈલ પર પ્રતિબંધ મુકવા પાછળ વિજ્ઞાન પણ છે. વાહન ચલાવવાના અને મોબાઈલ પર વાત કરવાના એમ બે સંકેતો મગજને પ્રાપ્ત થાય છે. મગજ બંનેને સરખો ન્યાય આપી શકતું નથી. કેમ કે બંને કેસમાં અમલીકરણ પરસ્પર જુદી પ્રતિક્રિયા દ્વારા કરવાનું રહે છે. તકલીફ એ થાય છે કે ક્યા સંકેતને પ્રાધાન્ય આપવું એ વાહનચાલક નક્કી કરી શકતો નથી. પસંદગીનું કામ મગજનું છે અને મગજની પણ અમુક મર્યાદા છે. તેથી અકસ્માત સર્જાવાની શક્યતા જોતાં વૈજ્ઞાનિક રીતે પણ આ કાયદો જરૂરી ગણાય છે. એક પ્રયોગમાં જણાયું કે માત્ર એક જ કાર્ય ડ્રાઈવિંગ પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત રહે તો તેનો ‘રિએકશન ટાઈમ’ 0.186 સેકન્ડ હોય છે. પણ એ સમયે તે વ્યક્તિ મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે શારિરીક પ્રતિક્રિયા દાખવવામાં તે 0.289 સેકન્ડ જેટલો સમય લે છે. આમ લગભગ 55% વધુ સમય લાગે. જેને લીધે અકસ્માત થવાની તક એટલા જ પ્રમાણમાં વધી જાય. ધારો કે 60 કિ.મી.ના વેગથી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ચાલતી હોય તો અકસ્માત રોકવા બ્રેક પેડલ દબાતા સુધીમાં વાહન 1.8 મીટર જેટલું અંતર કાપી નાખે. અને રસ્તો ઓળંગતા રાહદારી અને વાહન વચ્ચે બહુ અંતર ના હોય તો આટલો નજીવો તફાવત પણ ક્યારેક અકસ્માતનું કારણ બની શકે.
[8] ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શનના આરંભે Rx કેમ લખે છે ?
ડૉક્ટરો પોતાના દરદી માટે દવાનું નામ લખતા પહેલાં શુભેચ્છા વ્યક્ત કરવા Rx સંજ્ઞા વાપરે છે. પ્રાચીન સમયમાં રોમના પ્રજાજનો ગુરુને એટલે કે જ્યુપિટરને દેવ તરીકે પૂજતા અને ત્યાર પછી મધ્યયુગમાં તબીબો એવું માનતા થયા કે માણસના સ્વાસ્થ્ય પર જ્યુપિટર ગ્રહ બહુ મોટી અસર કરે છે. આથી રોમનોએ ગુરુ માટે જે સંજ્ઞા પસંદ કરેલી તે ડૉક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં લખવા માંડ્યા. એ પછી તો ‘ગુરુ તમને જલદી સાજા કરે.’ એવી શુભેચ્છા દર્શાવવા માટે Rx લખવાનો કાયમી ધારો પડી ગયો. જ્યુપિટરની મૂળ સંજ્ઞા સહેજ જુદી છે. જે ચિત્ર દોરવામાં મુશ્કેલી પડે. એટલે Rx લખીને તેઓ પોતાનું કામ સહેલું બનાવે છે.
[9] કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ?
ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું. આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. અને કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું. (આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે.) ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી.
[10] એરકન્ડિશનરનો કુલિંગ પાવર ટનમાં કેમ છે ?
એરકન્ડિશનર એ ઉષ્મા (ગરમી)ને નાબૂદ કરતું યંત્ર છે. બંધ ઓરડામાં રહેલી હવાની ગરમીને શોષી લેવાનું તે કામ કરે છે. અને આ ગરમી બ્રિટીશ થર્મલ યુનિટ (બી.ટી.યુ.)માં મપાય છે. ધારો કે ઓરડામાં 1 ઘનફૂટ રાંધણ ગેસ બાળ્યો હોય તો એ દહન 1000 બી.ટી.યુ. બહાર કાઢે છે. આ ગરમી બરફના એક નાના ટુકડાને બહુ જલદી ઓગાળી નાખે. જો બરફનો ટુકડો 1 ટનનો હોય તો 24 કલાકમાં તેને ઓગાળી નાખવા માટે અંદાજે 288000 બી.ટી.યુ. જેટલી ગરમી જરૂરી છે. એટલે કે 1 કલાકના 12000 બી.ટી.યુ. થાય. એટલે એરકન્ડિશનરનું જે મોડેલ દર કલાકે ઓરડામાંની 12000 બી.ટી.યુ. ગરમીને ખેંચી બહાર ફેંકી શકે તે 1 ટનની ક્ષમતાનું ગણાય છે. જો 2 ટનનું એરકન્ડિશનર હોય તો એ દર કલાકે 24000 બી.ટી.યુ. ગરમી બહાર કાઢે છે.
[કુલ પાન : 96. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : રાકેશ ઠક્કર, ડી-106, સૂર્યા સોસાયટી, પટેલ સમાજની વાડી પાસે, છરવાડા રોડ, જી.આઇ.ડી.સી. વાપી. તા-પારડી, જિ. વલસાડ.
સોમવાર, 8 જૂન, 2009
ગાંધીજી
રામનામ
મૃત્યુપર્યંત ગાંધીજી રામનામને વળગી રહે છે. આમાં ગાંધીજીની અંધશ્રદ્ધા હશે તેવો પ્રશ્ન બુદ્ધિગમ્ય છે. તેના સાચા ઉત્તર માટે ગાંધીજીના ‘રામનામ’ પુસ્તકનાં થોડાં વાક્યો વાંચીએ તે જરૂરી છે :
[1] ઈશ્વરને નામની દરકાર ન હોય.[2] કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી.[3] નામસ્મરણ તે પોપટિયું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ.[4] રામ એ કોઈ અયોધ્યાના રાજકુમારનું નામ એટલો સીમિત અર્થ ન કરતાં જે શક્તિ સચરાચરમાં સર્વવ્યાપક છે તે અર્થ સાચો છે.[5] ઈશ્વર એકલો પૂર્ણ છે. મનુષ્ય કદી પૂર્ણ હોતો નથી. રામનામથી માણસમાં નિર્મોહતા અને સમતા આવે છે અને અણીને વખતે તે પાટા પરથી ઊતરી પડતો નથી.[6] રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે.
‘હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી’ માંથી સાભાર.
ગુરુવાર, 4 જૂન, 2009
ગુજરાતી ગઝલ
ગઝલ યાદ, તો ભગવાનને કરતા રહો,
મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
- રાકેશ ઠક્કર
બુધવાર, 3 જૂન, 2009
ચિંતન

ચિંતન
સ્થૂળ આંખોથી નહીં, પણ સત્યની શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ કે કેટલા જન્માન્તરોના અનુભવ મેળવી, જન્મમરણના લાગટ કેટલા ફેરા ફર્યા પછી તમે અધોગતિમાંથી ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચમાંથી ઉચ્ચતર સ્થિતિ મેળવી છે. તમારાં જ કર્મ અને વિચાર વડે, તમારા મનનાં હંમેશ બદલાતાં રહેલાં વલણોનું બંધારણ થયું છે, અને અત્યારની તમારી સ્થિતિનો કેટલો આધાર તમારા વિચાર અને કર્મ ઉપર છે એ તમે જોશો ત્યારે તમે તમારી પ્રકૃતિ સમજશો. આ રીતે પોતાનો સ્વભાવ સમજ્યા પછી તે જ ધોરણે તમે બીજાઓના સ્વભાવ સમજી શકશો, તેમના પર કરુણા રાખી શકશો અને તેમની સુખી કે દુ:ખી અવસ્થાનાં કારણો જાણી શકશો.
જો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો.- જેમ્સ એલન
હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે.- હેન્રી થૉરો
બુધવાર, 27 મે, 2009
maa
એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. ત્રણચાર મહિના પછીની એક રાતે અચાનક મમ્મીની આંખ ખૂલી ગઈ.. પોતાના એકના એક દીકરાના સુખ માટે એણે જે કાંઈ વેઠ્યું હતું એ બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. હીબકે હીબકે એ રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે એ પોતાની મેળે જ અડધા કલાકમાં શાંત થઈ ગઈ. ઓરડામાં લાઈટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કૅલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. ઓહ ! આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે અને રાત્રિના આ જ સમયે મેં મારા લાલને જન્મ આપ્યો હતો. એ પોતાની લાગણીને રોકી ન શકી કારણ કે આખરે એ મા હતી, લાગણીનો મહાસાગર હતી. પલંગ પરથી ઊભી થઈને એ ઓરડામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે છેડે દીકરો આવ્યો.‘કોણ ?’‘બેટા ! હું તારી મમ્મી !’‘પણ આટલી મોડી રાતે ફોન કરવાની તારે જરૂર શી હતી ?’‘બેટા ! જરૂર તો કાંઈ નહોતી. પણ ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગયું એટલે શુભાશિષ પાઠવવા તને ફોન કર્યો.’‘એ શુભાશિષ તો સવારનાય આપી શકાતી હતી. અત્યારે રાત્રે ત્રણ વાગ્યે આવું નાટક કરવાની તારે શી જરૂર હતી ?’‘બેટા ! માની લાગણીને નાટક કહેવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ મેં અત્યારે ફોન કર્યો છે.’‘પણ તને ખબર છે ? અત્યારે ફોન કરીને તેં મારી ઊંઘ બગાડી નાખી છે !’‘બેટા ! મારા અત્યારે ફોન કરવાથી તારી ઊંઘ બગડી છે એ વાત સાચી પણ ત્રીસ વરસ પહેલાં મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી એ તને યાદ છે ખરું ?’ આટલું કહી મમ્મીએ રડતાંરડતાં ફોન મૂકી દીધો.‘લખી રાખો આરસની તકતી પર’ પુસ્તકમાંથી સાભાર
મંગળવાર, 26 મે, 2009
ગુજરાતી ગઝલ
ગઝલજિંદગાની એક મોટી હોડ છે,
બસ કબર સુધીની અંતે દોડ છે!
જે સફરનો હું સમજતો અંત તે,
જિંદગીનો સાવ નવતર મોડ છે.
આમ સપનાં તો ઘણાં છે દિલ મહીં,
ખાટલે તો ઊંઘની બહુ ખોડ છે.
કામ નહિ લાગે ઉતાવળ આપની,
વાર છે ફળને, હજી એ છોડ છે.
જિંદગીને ના સરળ સમજો તમે,
કેમ જાશો, સિંહની એ બોડ છે.
- રાકેશ ઠક્કર
(www.gujaratikavita.com પર 25 મે ના રોજ પ્રગટ થયેલ ગઝલ. સંપાદન- કવિ શ્રી સુધીર પટેલ (અમેરિકા))
Contact Email- rmtvapi@yahoo.co.in
શુક્રવાર, 22 મે, 2009
Gazal
એય ખતરાથી ખાલી તો ક્યાં છે ?
ખાતરી જો ના હોય તો કરજો,
હો ભલે બસ તમે ને દિવાલો,
મૃત્યુની વાત તો પછીની છે,
એ છે ઘટના સમયથી પર ‘સુધીર’
- સુધીર પટેલ
રવિવાર, 17 મે, 2009
[ક] રસોઈ ટિપ્સ :
[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.
[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.
[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
[5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.
[6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.
[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.
[8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.
[9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.
[10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.
[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.
[12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.
[13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.
[14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે.
[15] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે..
[ખ] આરોગ્ય ટિપ્સ
[1] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.
[2] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.
[3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.
[4] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.
[5] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.
[6] ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.
[7] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.
[8] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.
[9] રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીને પીવાથી ફાયદો થશે.
[10] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.
[11] સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
[12] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.
[13] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.
[14] એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.
[15] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો..
[ગ] હોમકેર ટિપ્સ
[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.
[2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.
[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.
[4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.
[5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.
[6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.
[7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.
[8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.
[9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.
[10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી..
[ચ] સોંદર્ય ટિપ્સ
[1] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે.
[2] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.
[3] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.
[4] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ કરો. વાળની ચમક વધી જશે.
[5] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ નાખો.
[6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.
[7] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.
[8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.
[9] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.
[10] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે..
[છ] જાળવણી ટિપ્સ
[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.
[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.
[3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.
[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.
[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.
[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.
[7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.
[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.
[9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.
[10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે..
[જ] સ્પેશ્યલ ટિપ્સ
[1] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.
[2] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.
[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.
[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.
[5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા..
[ઝ] જીવન ટિપ્સ
[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.
[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.
[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.
[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.
[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.
[કુલ પાન : 142. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પાટીલ બુક સ્ટોલ, અમીરસ હોટલની બાજુમાં, કોપરલી રોડ, જી.આઈ.ડી.સી., વાપી.
varsadma
વરસાદમાંક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.
પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !
એ જ તો શૃંગાર છે વરસાદમાં !
સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.
જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.
છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !
- સુધીર પટેલ





