મંગળવાર, 5 જાન્યુઆરી, 2010
વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
-અશરફ ડબાવાલા
રવિવાર, 20 ડિસેમ્બર, 2009
સુવિચાર
* મન નરકને સ્વર્ગ બનાવી શકે છે અને સ્વર્ગને નરક. – મિલ્ટન
* વિચારશૂન્યતા એ આપણા યુગની સૌથી મોટી સાર્વજનિક આપત્તિ છે. – રસ્કિન
* પ્રેમ તો મિલનના અભાવમાં જ સંપૂર્ણ અને વ્યથામાં જ મધુર છે. – શરદચન્દ્ર
* સૌથી મોટી ભૂલ કોશિશ ન કરવી તે છે. – અનામી
ગુરુવાર, 17 ડિસેમ્બર, 2009
એ સાચા શબ્દનાં પરમાણ
આપ કરી લે ઓળખાણ
એ સાચા શબ્દનાં પરમાણ
સાકર કહે નહીં, હું છું મીઠી
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબ્દનાં પરમાણ
કોયલ ટહુકે આંબા ડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે
ગંગા વહતી સમથળ ઢાળે
ખેંચ નહીં, નહીં તાણ
એ સાચા શબ્દનાં પરમાણ
ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લિયે ને સૌરભ સારે
અંતરથી એમ ઉઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબ્દનાં પરમાણ
મનુભાઇ ત્રિવેદી
મંગળવાર, 15 ડિસેમ્બર, 2009
પ્રેરક કથા
[1]ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું : ‘આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે ?’‘મેં એક વિચિત્ર શોધ કરી છે’ રસેલે જવાબ વાળ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.’
[2]હજરત મહંમદ પેગંબર સાહેબ પોતાની સાથે અબુબકરને લઈને મક્કા છોડીને ચાલ્યા ગયા, ત્યારે કુરેશો તેમને પકડવા તેમની પાછળ પડ્યા. એટલે હજરત મહંમદ સાહેબ અને અબુબકર રસ્તામાં આવેલી એક ગુફામાં સંતાઈ ગયા. કુરેશોને પાછળ પડેલા અને નજીક આવતા જોઈને અબુબકર બોલ્યા : ‘હજરત સાહેબ, આપણે ફક્ત બે જ જણા અહીં છીએ અને દુશ્મનો તો ઘણા છે. શું થશે ?’હજરત મહંમદ સાહેબ બોલ્યા : ‘શું ? આપણે ફક્ત બે જ જણા છીએ ? યાની અલ્લાહ નથી ? આપણે બે નથી, ત્રણ છીએ.’
[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]
ગુરુવાર, 10 ડિસેમ્બર, 2009
લેખકનો ધર્મ
લેખકનો ધર્મ – રવીન્દ્રનાથ ઠાકુર
મારા દેશ માટે શું કલ્યાણકર છે, એ વિશે મારા દેશજનો ને મારી વચ્ચે મતભેદ થવાનો પૂરો સંભવ છે. પણ લેખકે તો, પોતાના દેશનું કલ્યાણ શામાં રહેલું છે એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે હું શું કરું તો દેશ મને સારો કહેશે એનો. જો મારો દેશ મને વહાલો ન હોત, તો મારા વાચકોની પ્રીતિ સંપાદન કરવી એ મારે માટે ખૂબ સહેલું થઈ જાત. પણ લેખકનો સર્વોચ્ચ ધર્મ પોતાની વાર્તાને સર્વાંગસુંદર બનાવવા ઉપર જ લક્ષ રાખવાનો છે. તેણે વાચકોની વાહવાહની પરવા કરવાની નથી. જો મારી વાર્તા સાચે જ વાર્તા હશે, તો મારી માન્યતાઓ ગમે તેવી હશે તોયે એનો ફેલાવો થવાનો જ. (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)
બુધવાર, 2 ડિસેમ્બર, 2009
મહાન વિચાર
* મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ?-ગાંધીજી
* જે પ્રેમ નિત્ય નવીન નથી હોતો, તે એક આદત અને છેવટે એક બંધન બની જાય છે.-ખલીલ જિબ્રાન
* પ્રેમ કરવો તે કલા છે, પણ તેને નિભાવવો એ સાધના છે.-વિનોબા ભાવે
* સરસ જિંદગી એ છે જેમાં જ્ઞાનનું માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય. -બર્ટ્રાન્ડ રસેલ
* હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ.-ઐતરેય ઉપનિષદ
* દરેક વ્યક્તિમાં અનંત શક્યતા છે. આપણામાંના પ્રત્યેકમાં કોઈક એવું બીજ છે જેમાંથી વૃક્ષ પ્રગટી શકે.-પ્રે. મહાદેવ ધોરિયાણી
* તમારી આકાંક્ષાઓ એ તમારી શક્યતાઓ છે. જેવી આકાંક્ષા તેવી સિદ્ધિ.-રોબર્ટ બ્રાઉનીંગ
* જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, માન-અપમાન બધું સરખું છે.-ચાણક્ય
* જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે, સમય મળે તો તમે તેનો ઉપયોગ શુભ કાર્ય માટે કરો, કારણ કાળનું ચક્ર અત્યંત ક્રુર અને ઉપદ્રવી છે.-બેન્જામીન ફ્રેન્કલીન
* જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.-સ્વામી વિવેકાનંદ
ગુરુવાર, 26 નવેમ્બર, 2009
પ્રાર્થના
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ. (સંત રાબિયા)
સોમવાર, 23 નવેમ્બર, 2009
હચમચી કયાં છે ?
વેદના પણ જરા બચી ક્યાં છે ?
વાર તો લાગશે હજી નમતા,
ડાળ લૂમે લૂમે લચી ક્યાં છે ?
એટલે શબ્દનાં વળે ડૂચા
વાત ભીતર કશી પચી ક્યાં છે ?
મૌન પથ્થર સમું ધરી બેઠા,
વાત મારી કોઈ જચી કયાં છે ?
સોળ શણગાર કૈં સજે ‘સુધીર’,
એ ગઝલ તો હજી રચી ક્યાં છે ?
- સુધીર પટેલ
સોમવાર, 16 નવેમ્બર, 2009
થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !
જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !
સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી
મંગળવાર, 10 નવેમ્બર, 2009
વાંચનની કળા
[1]વાચન ભલે ઓછું થાય, પણ ઊંડું કરજો. હજાર પુસ્તક પચાવ્યા વિના વાંચનારના કરતાં એક જ પુસ્તક પચાવનાર વધારે જાણે છે. – ગાંધીજી
[2]જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી, ઓછું કે વધું વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડનો સવાલ છે. પણ ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તો તેની અનિવાર્ય શરત એ છે કે મનને ખુલ્લું રાખવું અને સત્યજિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈપણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. – પંડિત સુખલાલજી
[3]જે માણસ વાંચી શકે એમ હોય છતાં સરસ મઝાનાં પુસ્તકો વાંચતો નથી એ માણસને જે માણસો વાંચી શકતા નથી એના જેવો જ ગેરલાભ થાય છે. – માર્ક ટ્વેઈન
[4]જીવનમાં આપણે આમતેમ પડ્યા હોઈએ છીએ ત્યારે પુસ્તકો આપણને ફરી પાછાં કદાચ ઠીકઠાક કરી દે છે, જેમ માનો કાળજી ભર્યો હાથ ઘરની અવ્યવસ્થાને ફરી પાછો વ્યવસ્થિત કરી દે એમ. પુસ્તકો આપણી ભૂમિમાં વવાય છે એટલું જ. એમાંથી શું ઉગશે એની ખુદ જમીનને પણ ક્યાં ખબર હોય છે ? – સુરેશ દલાલ
[5]કેટલું કામ કરો છો એ નહિ, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની વિપુલતા નહિ પણ શ્રેષ્ઠતા સાધવાનો આદેશ છે. ફ્રાન્સના અગ્રણી તત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું : ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું : ‘જો બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો તમે મારા શિષ્ય ન પણ હોત !’ એ શ્રેષ્ઠતાએ, ઉપાસનાએ, કલામાં ને વિસ્તારમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપનાવનાર મંત્ર છે. – ફાધર વાલેસ
[6]પુસ્તક વાંચવાની આદત પ્રશંસનીય છે પરંતુ જેઓ ઘણાંબધાં પુસ્તકો ઝપાટાબંધ વાંચી નાખે છે એમના પ્રત્યે હું આશંકાથી જોઉં છું. મને એવી શંકા થાય છે કે ઝપાટાબંધ ઘણાં પુસ્તકો વાંચનારાઓ એ પુસ્તકોને ચીવટથી વાંચતા નહિ હોય. તેઓ પાનાં ઊથલાવ્યે જતાં હશે અને એક-બે દિવસોમાં વાંચેલું વિસરીયે જતાં હશે. પુસ્તક જો વાંચવા જેવું હોય તો એને પૂરતા લક્ષ અને પૂરતી ચીવટથી વાંચવું જોઈએ. – જવાહરલાલ નહેરુ
[7]વાચનનું સુખ ઘણાં પુસ્તકોથી નહિ પણ ઘણા વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની ખાસ જરૂર છે. – મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
[8]ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય. – સર પ્રભાશંકર પટ્ટણી
[9]ખેડૂત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગ્યાએ ઊંડો કૂવો કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયોનો સ્પર્શ કરવો જોઈએ અને તે સાથે એક વિષયમાં ઊંડા ઊતરવું જોઈએ. – બાબુ ક્ષિતિમોહન સેન
[10]પૂરેપૂરા નિરક્ષર, બીનકેળવાયેલા માણસ રહો; પરંતુ જો તમે એક સારા પુસ્તકનાં દસ પાનાં, અક્ષરેઅક્ષર એટલે કે પૂરેપૂરી ચોકસાઈથી વાંચો તો તમે હંમેશ માટે વધારે પ્રમાણમાં કેળવાયેલા માણસ બનો. કેળવણી અને બીનકેળવણી વચ્ચેનો ખરો તફાવત (કેળવણીના બૌદ્ધિક વિભાગ પૂરતો વિચાર કરતાં) આ ચોકસાઈમાં જ રહ્યો છે. – રસ્કિન.
[‘વાચનની કળા’ પુસ્તકમાંથી સાભાર.]
ગુરુવાર, 5 નવેમ્બર, 2009
ગઝલ
વાપરો કળ ને બનાવો મને !
લાશ છું હું, બસ તરાવો મને!
એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમ- કાગળ, લખાવો મને !
સત્ય કહેવું જો ગુનો હોય તો,
લો શુળીએ પણ ચઢાવો મને.
જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવું, હસાવો મને.
સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.
- રાકેશ ઠક્કર
શનિવાર, 31 ઑક્ટોબર, 2009
શાંતિપ્રાપ્તિનો કીમિયો
બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે ! અને વળી પાછી અશાંતિ સર્જવાની તૈયારી-શરૂઆત કરી દે છે.
આજનો માણસ અશાંત છે, બેચેન છે, વ્યગ્ર છે, કારણ કે તે બહારથી નહીં પણ અંદરથી વિક્ષુબ્ધ છે. એણે અપરાજેય પ્રકૃતિ પર વિજય મેળવ્યો, વંધ્ય અને ખરબચડી ભૂમિને મબલક પાક આપતી બનાવી, સુખ-સગવડોના અંબાર ખડકી દીધા, પણ એ બધા પાછળ હતી સુવિધાઓ પામવાની સંયમહીન ભૂખ. એ વિવેકહીન ભૂખે ભૌતિક યુગના માનવીના વ્યક્તિત્વને વેરવિખેર કરી નાખ્યું છે. વિવેકશૂન્ય વિકાસ વિનાશની જનની છે એ વાત આપણે સાવ વીસરી ગયા નથી શું ?
શાંતિ માનવજીવન સમગ્ર વિશ્વ માટે પરમ પાવન અને આવકાર્ય સુખસ્ત્રોત છે અને એ શાંતિની પ્રાપ્તિનો કીમિયો છે, આવશ્યકતા અને અપેક્ષાઓનું ‘સ્ટેગરિંગ’ અને ક્રમશ: આત્મસંયમ. વીજળીનું સ્ટેગરિંગ સહેવા આપણે તૈયાર છીએ, પણ વૃત્તિઓનો સ્વૈરવિહાર રોકવા આપણે તૈયાર નથી. આત્મસંયમનું અજવાળું જ જીવનમાં ઊભરાતાં અંધારાને ઉલેચી શકે.જે વાત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શાંતિની સમસ્યાને લાગુ પડે છે, તે જ વાત વિશ્વશાંતિ અથવા દેશ-દેશ વચ્ચેની શાંતિને લાગુ પડે છે. ગાંધીજીએ તેથી જ કહ્યું છે કે જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી, એમ માનવા બરાબર છે. અત્યાર સુધી જે ઈલાજો અજમાવવામાં આવ્યા છે, તે એળે ગયા છે, એનું કારણ એ છે કે જેમણે શાંતિ માટે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન તેમને રહ્યું નથી, એવું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઈ રસાયણી સંયુક્ત દ્રવ્ય તૈયાર થઈ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતો પૈકી થોડીક જ પળાઈ હોય તો શાંતિની સ્થાપના ન થઈ શકે.
‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 23 ઑક્ટોબર, 2009
હિન્દી ગઝલ
यार मेरा कहीं जुदा भी हो !
मैंने होठो़ से ना कहा भी हो,
वो मगर दिल की सुनता भी हो !
उनकी ही खास ये अदा भी हो,
शोखी के साथ में हया भी हो !
लाल हुई हैं आँखे सुरज की,
रात को देर तक जगा भी हो !
मैं ही शायद निकल गया आगे,
वक़्त कुछ देर तक रुका भी हो !
जिन्दगीभर की है दुआ “सुधीर”,
आज हक में मेरे खुदा भी हो !
-सुधीर पटेल
ગુરુવાર, 15 ઑક્ટોબર, 2009
દિલમાં દીવો કરજો !
અજવાળું ફેલાશે પરબારું, દિલમાં દીવો કરજો !
આ ચોઘડીયું છે સુંદર, લીંપી આંગણિયું ને ઉંબર;
મૂરત જાળવવા શુભ ને સારું, દિલમાં દીવો કરજો !
બ્હાર હવાનાં તોફાનો, અંદર પણ છે કૈં અરમાનો ;
તેલ તમે પૂરજો કૈં સધિયારું, દિલમાં દીવો કરજો !
યુગો બાદ મળી છે જ્યોતિ, આજ પરોવી લો મોતી ;
પળ નહિ પૂરું જીવન શણગારું, દિલમાં દીવો કરજો !
એ ભલે નથી કૈં સૂરજ, પણ કરશે રોશન સૌ બૂરજ ;
સુખ ‘સુધીર’ ટમટમશે સહિયારું, દિલમાં દીવો કરજો !
બુધવાર, 7 ઑક્ટોબર, 2009
દિલ ઢૂંઢતા હૈ
બૈઠે રહે તસવ્વુરે – જાનાં કિયે હુએ.’- ગાલિબ
ગાલિબ આ શેરમાં પ્રેમના એ મુગ્ધાવસ્થાના દિવસોની વાત કહે છે જેમાં નિરાંતે પ્રિયતમાની કલ્પના રાત દિવસ કરી શકાતી હતી. એ જમાનો વિતી ગયો છે અને હવે જીવનની વ્યસ્તતામાં આવો પ્રણય સંભવ નથી. માટે દિલ એ ફુરસદ શોધી રહ્યું છે જેમાં મુગ્ધતાનો એ સમય પાછો લાવી શકાય. આ શેરમાં ‘ફિર’ શબ્દ પર ભાર મુકાયો છે જે વિતેલા સમયનો અહેસાસ અપાવે છે. પ્રેમ ભલે હોય પણ મુગ્ધાવસ્થાનો સમય બહુ લાંબો ટકતો નથી. એ દિવસો જેવી કલ્પનાની ઉડાન અને નિરાંત પાછી આવતી નથી. ‘મોસમ’ ફિલ્મમાં ગુલઝારે આ શેરનો મુખડા તરીકે ઉપયોગ કરી એક ગીત રચ્યું હતું. જેમાં અક્ષર ‘જી’ ના સ્થાને ‘દિલ’ શબ્દ વાપર્યો છે.
સોમવાર, 5 ઑક્ટોબર, 2009
વિચારવા જેવા વિચાર
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે. — યોગવસિષ્ઠ
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. — જેઈમ્સ લોવેલ
મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે. — સ્વામી અખંડઆનંદ સરસ્વતી
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. — સ્વામી વિવેકાનંદ
મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2009
વીંધી ગઝલ.
સત્યમાં ગાંધી ગઝલ.
એક આ બાંધી ગઝલ.
નાંખ તું વીંધી ગઝલ.
માંગતા દીધી ગઝલ.
આજ થૈ ઘાંઘી ગઝલ.
ભૂલવા આ લોકને,
દોસ્ત મેં સાધી ગઝલ.
શબ્દ તો છટપટ કરે,
છંદમાં નાથી ગઝલ.
રાકેશ ઠક્કર
શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2009
બુધવાર, 23 સપ્ટેમ્બર, 2009
બરફ : મોનો ઇમેજ - સુધીર પટેલ
(૧)
બરફ
જાણે કે
જામી ગયેલું ચોમાસું !
કે પછી
કોઇનું થીજી ગયેલું આંસુ ?!
(૨)
બરફ
થોડી રાહ જુઓ તો
પીગળે પણ ખરો !
પરંતુ
આ પથ્થર ?!
(૩)
બરફ
એ તો છે
પાણીની વધી ગયેલી ઉંમર !
જાણે એને આવી ગયાં ધોળાં
અને સમગ્ર શરીર પર
છવાઇ ગઇ સફેદી !!
