શુક્રવાર, 7 મે, 2010
જો જો હસતા નહિ
જવાબ : લૉટરી ખરીદતો માણસ જીતે એવી શક્યતા હોય છે.
**
પતિ : હમણાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે ૯૯ ટકા પુરષો દુ:ખી થાય છે અને ૯૯ ટકા સ્ત્રીઓ સુખી થાય છે.
પત્નિ : આપણે બંને બાકીના એક ટકામાં આવીએ છીએ.
**
વકીલાતનો વિદ્યાર્થી : જે માણસ બે વાર પરણે તેને સજા કરવાની કશી જરૂર નથી.
પ્રોફેસર : કેમ, બે વાર લગ્ન કરવા એ ગુનો છે. તેને સજા થવી જ જોઇએ.
વકીલાતનો વિદ્યાર્થી : તેને આપોઆપ જ સજા મળી જાય સર, બબ્બે સાસુ બેઠી હોય પછી કાયદાની શું જરૂર?
**
ફિલ્મ જોવા માટેની લાંબી લાઇનમાં પ્રથમ નંબર એક પુરુષનો હતો. તેની પાછળ બે સ્ત્રીઓ હતી. દેખાવમાં તે બે સ્ત્રીઓ મા-દીકરી જેવી લાગતી હતી. હવે બે ટિકિટો બાકી હતી એટલે ટિકિટવાળાએ લાઇનમાં પહેલા ઊભેલા પુરુષને કહ્યું : હવે બે જ ટિકિટ બાકી છે. તમને વાંધો ન હોય તો તમારી પાછળ બે સ્ત્રીઓ સાથે છે તેમને આપી દઉં. તમે પણ દીકરીને માથી છૂટી પાડવા તો નહિ જ ઇચ્છતા હો.
પુરુષ : ના-ના, તમે ટિકિટ તેમને જ આપી દો. જીવનમાં એક વખત મેં દીકરીને માથી છૂટી પાડી એનાં પરિણામો આજ સુધી સતત ભોગવી રહ્યો છું.
**
જે કુંવારા હોય અથવા કુંવારા રહી ગયા હોય તેમને ગમી જાય એવી ચીની કહેવત : એક દિવસ માટે સુખી થવું હોય તો ભૂંડ મારીને ખાજો. એક અઠવાડિયા માટે સુખી થવું હોય તો લગ્ન કરજો અને જો જિંદગીભર સુખી થવું હોય તો આંગણામાં બાગ બનાવજો!
- રાકેશ ઠક્કર
રવિવાર, 2 મે, 2010
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.
ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?
સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતીબધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.
તે નહિ નહીં જ ગુજરાતી,જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?
- ઉમાશંકર જોશી
ગુરુવાર, 29 એપ્રિલ, 2010
જો ગીતા કુરાન પર
સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર
મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
શરબતમાં પીવડાવું ને એ પ્રેમમાં પડે
રસ્તો કયો મેં લીધો હવે શું ફરક પડે
પાગલ થવાનું પરવડ્યું હેમંત પ્રેમમાં
- હેમંત પુણેકર
સોમવાર, 26 એપ્રિલ, 2010
ઈશ્વર
ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુ:ખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખરેખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે.
જોન ફુર્લ્ટન
શુક્રવાર, 16 એપ્રિલ, 2010
‘સંતોષ વધુ તો સુખ વધુ’
સ્વતંત્ર આકર્ષક બંગલો, આંગણે શોભતી ત્રણ ગાડીઓ, સમાજમાં જામેલી પ્રચંડ પ્રતિષ્ઠા, શરીર પર ઝૂલતા અલંકારો, ત્રણ ફૅક્ટરીઓ, વરસે પાંચ કરોડનું ટર્ન-ઓવર. આ બધું તમને ‘સુખી’ જાહેર કરવા માટે પર્યાપ્ત છે. આવું બધું જેને ત્યાં હોય એ ‘સુખી’ જ હોય એવું તમારી આજુબાજુનો વર્ગ અચૂક માનતો હોય છે અને એટલા માટે જ એમાંના જેની પણ નજરે તમે ચડો છો એની આંખમાં તમે ‘સુખી’ તરીકે અચૂક પ્રતિષ્ઠિત થઈ જાઓ છો.
પણ મારે તમને વાત એ કરવી છે કે સમાજની નજરે ‘સુખી’ જાહેર થવું એ જુદું, સમાજ વચ્ચે ‘સુખી’ દેખાવું એ જુદું અને સાચા અર્થમાં ‘સુખી’ હોવું એ જુદું. સામગ્રીની વિપુલતા તમને સુખી જાહેર કરે છે જ્યારે સંતોષનો સદગુણ તમને સુખી બનાવે છે. સામગ્રીની અલ્પતાવાળાને સમાજ સુખી માનવા તૈયાર નથી જ્યારે સંતોષની કચાશવાળો ખુદ પોતાની જાતને સુખી માની શકતો નથી. નગ્ન સત્ય આ હોવા છતાં આજના માણસને કોણ જાણે કેમ, પણ સુખી બનવામાં એટલો રસ નથી, જેટલો રસ સુખી દેખાવામાં છે. શાંતિથી ઘરને ખૂણે બેસીને રોટલી, દાળ ખાવાનું ટાળીને અશાંતિ સાથે દોડતા દોડતા મીઠાઈ ખાવાના અભરખા એના વધુ છે. ‘સામગ્રી વધુ તો સુખ વધુ’ આ સૂત્રને જીવનનો ‘ટ્રેડમાર્ક’ બનાવવામાં એ જેટલું ગૌરવ અનુભવે છે એટલી જ હીણપતની લાગણી એ ‘સંતોષ વધુ તો સુખ વધુ’ નું સૂત્ર સાંભળતા અનુભવે છે.
આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
શુક્રવાર, 9 એપ્રિલ, 2010
કુછ લોગ પહેચાને ગયે
મહેંદી હસને આ લોકપ્રિય ગઝલને કંઠ આપ્યો છે. શાયરે અહીં એક એવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે જેનો અનુભવ ઘણાને થયો હોય છે. ક્યારેક એવું બને છે કે એકાદ નાની સી વાતને લીધે વર્ષો જૂનાં સંબંધોમાં વિચ્છેદ પડી જાય. મનદુખ કરાવે એવી કોઇ વાત કહેવાઇ જાય અને સંબંધોમાં સાંધી ન શકાય તેવી તિરાડ પડી જાય છે. આવી સ્થિતિમાં પણ શાયરને એક આશાનું કિરણ જરૂર દેખાય છે. – ચાલો એટલું તો થયું કે અમુક લોકોનો ખરો પરિચય મળ્યો, જેમને આપણે નિકટના મિત્ર સમજતા હોઇએ એ જયારે જૂના સંબંધો બગાડી દે ત્યારે જ એમની ખરી પહેચાન થાય છે. જો સંબંધો એટલા જ કાચા હોય તો એમને જાળવી રાખવાનો પણ કોઇ અર્થ નથી.
- બકુલ બક્ષી
શનિવાર, 3 એપ્રિલ, 2010
સ્વાસ્થ્યની ચાવી
રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે. ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે. બેઠાડુ માણસનું તખ્ખલુસ ‘બંધકોષ બંદોપાધ્યાય’ હોવું જોઈએ. તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો. હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ? નિયમિત કસરત અને માફસરનો આહાર ! કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો, ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો. કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો. કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો. જો ઘણુંખરું આનંદમય રહેતા હો તો માનવું કે તમે ‘તમે’ છો.
શુક્રવાર, 19 માર્ચ, 2010
જોબનનો ઉતારો ફાંકો !
વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !
ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ,
તમે આખાં તે વેણ કેમ બોલશો ?
થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?
દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !
તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !
સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;
મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.
તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,
સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;
ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.
- ભગવતીકુમાર પાઠક
ગુરુવાર, 18 માર્ચ, 2010
ચાલો હસી લઇએ
છગન : ‘એના એકાએક મૃત્યુનું કાંઈ કારણ ?’ મગન : ‘હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…’***********
પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને !’ પત્ની : ‘હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’***********
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.ખમીસ પરના ભાવની કાપલી જોઈ એક ચોરે બીજાને કહ્યું : ‘જો તો ખરો ! માળા લૂંટવા જ બેઠા છે !’***********
એક યાત્રી : ‘ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઈમટેબલ શા કામના ?’ટિકીટચેકર : ‘તમે તો ગાડીઓ સમયસર આવશે તો એમ કહેશો કે આ વેઈટિંગરૂમ શા કામના ?’***********
એક શેઠનો છોકરો ઘણાં વર્ષોથી એમ.એ.માં નાપાસ થયા કરતો હતો.શેઠનો મિત્ર : ‘એમ.એ પાસ કરીને તમારો પુત્ર શું બનશે ?’શેઠ : ‘દાદા’મિત્ર : ‘એટલે ?’શેઠ : ‘જ્યારે તે એમ.એ પાસ કરશે ત્યાં સુધીમાં તેના છોકરાનાંય છોકરાં થઈ જશે !’***********
પુત્રી : ‘મા, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરું. એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.’મા : ‘તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.’***********
એક કેદી બીજાને :‘તને કેટલા વર્ષની સજા થઈ છે ?’‘અઢાર વર્ષની…. અને તને ?’‘મને પંદર વર્ષની….’‘તો પછી તું તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.’***********
એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું.અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું.પતિનું મગજ ફાટ્યું.‘આ શું ? બધું ખાવાનું ભિખારીને આપી દીધું ? હવે એ રોજ આવતો થઈ જશે તો ?’બીજા દિવસે ભિખારી એ સમયે આવીને ઊભો રહ્યો.પતિ કહે : ‘જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે ?’ભિખારી વચ્ચે બોલ્યો : ‘તમે લોકો લઢો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું ! કેવી ભયંકર રસોઈ બનાવે છે !’***********
છગન : ‘એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે ?’મગન : ‘એવી તે કઈ જગ્યા ? યાદ નથી આવતું.’છગન : ‘સિમ્પલ ! પાણીપૂરીની લારીએ…!!’***********
સંસ્કૃતના ટીચરે પૂછ્યું :‘તમસો મા જ્યોર્તિગમય…. આનો અર્થ શું થાય ?’સ્ટુડન્ટે ફટ દઈને કીધું : ‘તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !’***********
પોલીસ ઈન્સ્પેક્ટર (હવાલદારને) : ‘ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મીનીસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી ?’હવાલદાર : ‘કારણ કે બહાર બોર્ડ મારેલું હતું – પરવાનગી વિના અંદર આવવું નહિ.’***********
પતિ : ‘હું મરી જઈશ ત્યારે તને મારા જેવો બીજો માણસ નહીં મળે.’પત્ની : ‘તમારા જેવો બીજો માણસ મને જોઈએ છે એવું તમને કેમ લાગ્યું ?’***********
પ્રથમ સૈનિક : ‘તું કેમ આર્મીમાં જોડાયો ?’બીજો સૈનિક : ‘મારી પત્ની નથી અને મને યુદ્ધ ગમે છે. પણ તારું શું ?’પ્રથમ સૈનિક : ‘મારે પત્ની છે પણ મને શાંતિ ગમે છે.’***********
કંજૂસ 14મે માળેથી નીચે પડ્યો.નીચે પડતાં પડતાં પોતાના ઘરની બારીમાંથી પત્નીને રોટલી બનાવતાં જોઈ બરાડ્યો : ‘મારી રોટલી નહીં બનાવતી.’***********
યમરાજ ધરતી પર આવીને બાર બાટલી પી ગયા. આશ્ચર્યથી વેઈટરે એમને પૂછ્યું :‘તમને નશો ચઢ્યો નહિ ?’યમરાજ : ‘ના. કારણ કે હું ભગવાન છું.’વેઈટર મનોમન બબડ્યો : ‘હવે એને ચઢી ગઈ લાગે છે !’***********
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’***********
સંતાસિંહ જંગલમાંથી પસાર થતો હતો. એક ઝાડ પરથી મોટો અજગર લટકતો જોઈને સંતાસિંહ બોલ્યો : ‘સિર્ફ લટકને સે હાઈટ નહીં બઢેગી, મમ્મી કો બોલો કે કોમ્પ્લાન પિલાયે !!’***********
એક દિવસ એક નાનકડો ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યો :‘હાથીભાઈ હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને !’હાથી હસવા લાગ્યો : ‘કેમ ? તારે પહેરવો છે ?’ઉંદર કહે : ‘ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !’***********
એક કંજૂસ મરણપથારીએ બૂમો પાડવા લાગ્યો :‘મારો પુત્ર, પુત્રી ક્યાં છે ?’દીકરો અને દીકરી બોલ્યાં : ‘અમે અહીંયા જ છીએ, પપ્પા !’‘તમારી મમ્મી ક્યાં છે ?’એની પત્ની બોલી : ‘હું પણ અહીં તમારી પાસે જ છું.’‘નાનોભાઈ અને ભાભી ક્યાં છે ?’તેઓ બોલ્યા : ‘અમે અહીં તમારી બાજુમાં જ બેઠા છે.’કંજૂસ બોલ્યો : ‘ડફોળો ! તમે બધા અહીં બેઠા છો તો અંદરના રૂમમાં પંખો કેમ ચાલુ છે ?’***********
પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.લેખક : સારા સમાચાર પહેલા આપો.પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !લેખક : અને માઠા સમાચાર શું છે ?પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.***********
મનુ અને કનુ ખાસ મિત્રો હતા. પણ ઝઘડો થવાના કારણે એમની દોસ્તી તૂટી ગઈ હતી. જ્યારે મનુનો જન્મ દિવસ આવ્યો ત્યારે તેની મમ્મીએ બધા મિત્રો સાથે તેને પણ બોલાવવાનું કહ્યું.એ વખતે મનુ કનુના ઘરે ગયો અને કહ્યું : ‘આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.’***********
રોહિત : ‘તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?’અમિત : ‘સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.’***********
એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. ‘જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.‘હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.’ પાછળથી અવાજ આવ્યો.***********
ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.‘કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?’દર્દી બોલ્યો : ‘સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે.’’***********
દાંતનો ડૉકટર : ‘આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો. હજુ તો હું તમારા દાંતને અડ્યો પણ નથી.દર્દી : ‘અડ્યા તો નથી પણ તમે મારા પગની આંગળીઓ પર ઊભા છો.’
- શ્રી તરંગભાઈ
સોમવાર, 8 માર્ચ, 2010
મન અને વાણી – છાંદોગ્ય ઉપનિષદ
સૃષ્ટિના આરંભે માત્ર સત હતું. એક અને અદ્વિતિય. એમાંથી તેજ પ્રગટ્યું. તેજમાંથી જલ પ્રગટ્યું અને જલમાંથી અન્ન બન્યું. ખાધેલું અન્ન ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. અન્નનો જે અત્યંત સ્થૂળ અંશ છે, એમાંથી મળ બને છે. જે મધ્યમ અંશ છે, એમાંથી માંસ બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેમાંથી મન બને છે. (આમ મનની ગતિને અન્નની ગુણવત્તા સાથે સીધો સંબંધ છે. અન્ન વગર મન મૂઢ બની જાય છે. મનને શાંત રાખવા મસાલા, કાંદા, લસણથી દૂર રહેવાની ઘણા ધર્મોએ શીખ આપી છે, એ પ્રદાર્થો મનમાં ઉત્તેજના પેદા કરે છે.)
પીધેલું પાણી ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. પાણીનો જે અત્યંત સ્થૂળ અંશ છે, તેનું મૂત્ર બને છે. જે મધ્યમ અંશ છે, તેનું રક્ત બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેનો પ્રાણ બને છે. (આથી જ પાણી વગર પ્રાણ ટકી શકતો નથી.)
ખાધેલું તેજ ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. તેજનો અત્યંત સ્થૂળ અંશ છે તેમાંથી અસ્થિ બને છે. જે મધ્યમ અંશ છે, તેમાંથી મજ્જા બને છે. જે અત્યંત સૂક્ષ્મ અંશ છે તેમાંથી વાણી બને છે.
આમ, મન અન્નમય છે, પ્રાણ આપોમય (જળમય) અને વાણી તેજોમય છે.
www.readgujarati.com
ગુરુવાર, 4 માર્ચ, 2010
ન પામ્યા !
ન માફી મળી કે સજા પણ ન પામ્યા !
નથી રૂપ ઝાંખું થયું કે નજર, પણ
અલગ છે હજુ કોઇ દર્પણ ન પામ્યા !
રહી સાવ નિર્જન હવેલી, હ્રદયની
કદી કોઇની આવ-જા પણ ન પામ્યા !
રહ્યો એ જ અફસોસ કે જિંદગીભર,
અમસ્તા અમસ્તા ય, શ્રાવણ ન પામ્યા !
દયા ખાય છે દુશ્મનો પણ અમારી
અમે, દોસ્ત જેવું ય સગપણ ન પામ્યા !
ઘણીવાર એવી દશા ભોગવી છે.
કે છેલ્લે સુધી કોઇ કારણ ન પામ્યા !
કરી છે બધાએ ઉપેક્ષા જ કાયમ,
મરણ બાદ તેથી જ, ખાપણ ન પામ્યા !
ડૉ. મહેશ રાવલ
ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2010
પૂજારી જોઈએ.
પ્રેમમાં કયાં જાણકારી જોઈએ,
બસ હૃદય વરચે કટારી જોઈએ.
શ્રીહરિ ને છોકરીમાં સામ્યતા,
બેઉ પણ માટે પૂજારી જોઈએ.
આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાંય બારી જોઈએ.
નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દીકરા જેવો મદારી જોઈએ.
એ અગાસીમાં સૂતેલાં હોય તો
ચાંદ પર મારે પથારી જોઈએ.
- મૂકેશ જોશી
ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2010
અભાવ : એક કસોટી પથ્થર – મોહમ્મદ માંકડ
કોઈએ એવી ટકોર કરી છે કે, સૌથી કાતિલ ઝેર માતાના ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે. ટકોર સગા ભાઈઓના સંદર્ભમાં છે. સગાં ભાઈ-બહેનો વચ્ચે જે જાતના ઝઘડાઓ જોવા મળે છે એવા ઊતરતી કક્ષાના ઝઘડાઓ અજાણ્યાઓ વચ્ચે પણ જોવા મળતા નથી. એક હાથ જમીન માટે કે એકાદ દીવાલ કે શેઢા માટે ભાઈઓ ખુવાર થઈ ગયાના દાખલાઓ જોવા મળે છે. માતાપિતાના મૃત્યુ પછી ભાગ વહેંચતી વખતે નાનકડી ગોદડીના પણ ભાગ પાડ્યાના દાખલાઓ જાણવા મળ્યા છે.
જેની સાથે જિંદગીનાં અનેક વર્ષો ગાળ્યાં હોય, જેને મૂકીને પોતે કોઈ સારી ચીજ ખાધી ન હોય કે વાપરી ન હોય, જેને સામાન્ય તાવ આવ્યો હોય તો પણ પોતે આખી રાતનો ઉજાગરો કર્યો હોય, એવા વ્હાલસોયા ભાઈ તરફ એકાએક માણસ કેમ આટલો નઠોર, નિર્દય, નાસમજ બની જતો હશે ? માર્કસવાદીઓ કહેશે : ‘મૂડી’; દરેક સંબંધોના મૂળમાં પૈસા – અર્થ મુખ્ય ભાગ ભજવે છે.
ઠીક છે. પણ આ વાતને બીજી એક બાજુ પણ છે. મારા એક મિત્ર વેપારી છે, બાહોશ છે, પૈસાદાર છે. એમને માત્ર એક જ વાતનો વસવસો છે. એમને કોઈ સગો ભાઈ નથી. ઘણીવાર અફસોસથી એ કહે છે : ‘મારે જો એક ભાઈ હોત !’‘તો ?’ મેં એકવાર એમને પૂછ્યું હતું.‘તો અમે બન્ને જણ થઈને બિઝનેસનો કેટલો વિકાસ કરી શકત ! હું એકલો છું એટલે નવું કોઈ સાહસ કરવું હોય તો મન પાછું પડે છે. એકલે હાથે કેટલું કેટલું થાય ? બાજુમાં કોઈ ટેકો દેનાર હોય તો….’ મને કહેવાનું મન થઈ ગયું હતું કે, સગા ભાઈઓ ટેકો દેવાના બદલે મોટા ભાગે ટેકો ખસેડી લેવાનું કામ કરતા હોય છે. પણ એમને એમ કહેવાનો કશો અર્થ નહોતો કારણ કે, એમને ભાઈ નહોતો, ભાઈ વિષેની માત્ર કલ્પના એમના મનમાં હતી. અને ભાઈના અભાવમાં ભાઈ હોય તો કેવો હોય, અને ભાઈ મળવાથી પોતાને શું શું મળી શકે તેનું એક ચિત્ર તેમણે દોર્યું હતું. અને તેમના માટે એ ચિત્ર સાચું હતું.કોઈ વસ્તુ આપણી હોય છે ત્યારે નહિ, પણ તે નથી હોતી ત્યારે જ આપણને તેના સાચા સ્વરૂપની ખબર પડે છે. દાંત હોય છે ત્યારે માણસ દાંતની સંભાળ લેતો નથી. તંદુરસ્તી હોય છે, ત્યારે આંખોની સંભાળ લેતો નથી. તંદુરસ્તી હોય છે, ત્યારે તંદુરસ્તીની કિંમત તેને સમજાતી નથી. એ જ રીતે ભાઈ હોય છે, એને ભાઈ એટલે શું તેની કિંમત સમજાતી નથી. જ્યારે જે વસ્તુનો અભાવ હોય, અથવા તો અભાવ ઊભો થાય ત્યારે જ તેની સાચી કિંમત સમજાય છે. બહુ વિચિત્ર લાગે તેવી આ હકીકત છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ ખરેખર કેવી છે તેની ખબર તે ન હોય ત્યારે જ પડે છે. એટલે, જ્યારે તમે કોઈ ઉપર નારાજ થાઓ, કોઈની સાથે લડવા ઝઘડવા તૈયાર થઈ જાઓ, કોઈની કિંમત માંડવા ઉત્સુક થઈ જાઓ, ત્યારે તે વ્યક્તિ કેવી છે કે તમને કેવી લાગે છે, તેનો વિચાર કરવાના બદલે તે ન હોય તો તેની કેવી અસર પડે તેનો વિચાર કરજો – તેની ખરી કિંમત તો જ તમને સમજાશે.
બુધવાર, 10 ફેબ્રુઆરી, 2010
ગઝલ
સૌ ગણે સુજ્ઞ પોતપોતાને !
વ્યગ્ર છે વાત સૌ કહેવાને,
પણ ધરે કોણ વાતને કાને ?
‘રામ’ બોલીને ચૂપ થઈ જાશે,
બસ પઢાવ્યું છે એ જ તોતાને !
ચમકી ચમકીને કેટલું ચમકે ?
સૌ ધૂએ છે ઘસી મસોતાને !
ક્યાં સુધી રસ પછી મળે મુજને ?
ચાવતો બસ રહું છું છોતાને !
આ ગઝલ અન્ય કૈં નથી ‘સુધીર’
દર્દનો દઉં હિસાબ શ્રોતાને !
-સુધીર પટેલ
સોમવાર, 8 ફેબ્રુઆરી, 2010
ચિંતા ટાળી ચિંતન કરીએ
ચિંતાતુર માણસનો ચહેરો જોજો, તેનામાં સ્ફૂર્તિ નહિ હોય, તે સૂનમૂન હશે. હતાશા એને ઘેરી વળેલી જણાશે. આ ચિંતા બહુ નકામી છે. ઢોલા મારુ કહે છે : ‘ચિંતાએ સારા જગતને બાંધ્યું છે, પણ ચિંતાને કોઈ બાંધી શક્યું નથી. જે મનુષ્ય ચિંતાને વશ કરી લે છે તે સિદ્ધિ પામે છે.’
સફળતા પામવામાં કેટલાંક પરિબળો નડતરરૂપ નીવડે છે. તેમાં ચિંતાનો ક્રમ પહેલો છે. માણસ કાલ્પનિક ભયથી ડરીને ચિંતા કરે છે ને ક્રમશ: તે નકારાત્મક વલણ ધરાવતો થઈ જાય છે. તેને બધે જ બધું જ નકામું દેખાય છે. તે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ‘હું તો નકામો છું, મારાથી આ તો થાય જ નહિ. આ મારી શક્તિ બહારની બાબત છે….’ આવું આવું વિચારીને તે નિષ્ક્રિય બેસી રહે છે. વધુ વિચારો કરવા માંડી વાળવાથી બહુ રાહત રહે છે. કામમાં પરોવાયેલા રહેવું. બહુ વિચારો કરવાથી મગજ બહેર મારી જાય છે ને ચિંતિત બની જવાનો ભય રહે છે.
કાલ્પનિક મુશ્કેલીથી માણસ ડરી જાય છે. સોમવારે મારા પર આફત ત્રાટકશે એમ કલ્પી લઈને માણસ ગુરુવારથી જ ચિંતાના દબાણ હેઠળ આવી જાય છે. ગુરુ, શુક્ર, શનિ, રવિ – આમ એના ચાર દિવસ નિષ્ક્રિયતામાં વીતે છે. પછી સોમવારે એના પર આફત ન ત્રાટકે ત્યારે એને એમ થાય છે કે હું નાહકનો ડરી ગયો હતો. જેમ પડશે તેમ દેવાશે એવું મનોવલણ કેળવીને માણસે મુક્ત રહેવું જોઈએ. પ્લિની કનિષ્ઠના મતે – ‘દુ:ખની તો સીમા હોય છે, જ્યારે ચિંતા અસીમિત હોય છે.’ ચિંતાથી માણસ શારીરિક સ્વાસ્થ્ય પણ ગુમાવતો થાય છે. ચિંતા એને ગળી જાય છે અને કેરીના ગોટલા જેવો કરી નાખે છે. ચિંતા વિશે ગાંધીજી કહે છે કે – ‘રચનત્મક ધ્યેયની પૂર્તિ માટે વિવિધ ઉપાયોનું મનન કરવા પૂરતી ચિંતા ઈચ્છનીય છે પણ જ્યારે તે શરીરને જ ખાવા લાગે ત્યારે તે અનિચ્છનીય છે કારણ કે પછી તો તે પોતાના ધ્યેયને જ ખોઈ બેસે છે.’
માણસ ધ્યેય વગરનો બને ત્યારથી તેનું સાચું જીવન સમાપ્ત થઈ ગયેલું જાણવું. પશુ-પક્ષીઓને ખાવા-પીવાનું ને પ્રજનનનું જ ધ્યેય હોય છે, આપણે મનુષ્યો આ ધ્યેયને ગૌણ ગણી બીજાના હિતનો પણ વિચાર કરીએ છીએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે એમ માનીએ છીએ. ચિંતા કરો પણ સચ્ચારિત્ર્યની અને ઉન્નતિની કરો. હકારાત્મક અભિગમ કેળવો ને આગળ વધતા રહો. જ્યારથી તમે અન્યના સુખનો વિચાર કરીને જીવવા માંડશો ત્યારથી તમારું જીવન ઉન્નતિને પંથે ગતિ કરશે એમ માની લેજો. ચારિત્ર્યનું જતન કરવામાં જરાય પાછી પાની ન કરતા. તમારું મૂલ્ય લોકો તમારા સચ્ચારિત્ર્યને જોઈને-અનુભવીને કરતા રહેશે. મૂઢ બનીને બેસી ન રહેશો. ઉન્નતિ કરવા મથતા રહેજો. આર્થિક ઉન્નતિ અમુક હદ સુધી બરાબર છે પણ ખરી ઉન્નતિ તો લોકકલ્યાણનાં કાર્યો કરવાથી થાય છે. પીડિત લોકોની વહારે ધાતાં શીખો. એમની પીડા તમે ઓછી કરી શકો, દૂર કરી શકો એ તમારી ખરી કમાણી છે.
તમે મહાપુરુષોની રહેણીકરણી તપાસશો તો તરત સમજાશે કે તેઓ સદા લોકોના હિત ખાતર જ પોતાની શક્તિ, બુદ્ધિ, ધન, સમય વાપરે છે. સરદાર પટેલ મૃત્યુ પામ્યા ત્યારે તેમના નામે કશી માલમિલકત ન હતી. એમણે તો પોતાની જાતને દેશના હિત ખાતર સમર્પી દીધી હતી. રવિશંકર મહારાજને પણ ક્યાં કશી સંપત્તિ હતી ! ને તોય હજારો-લાખો લોકોનાં હૃદયમાં તેમનું ઊંચેરું સ્થાન હતું અને છે. ચિંતા કર્યા કરવામાં સમય વેડફવાની જરૂર નથી. બેરિયલ ફિજર કહે છે તેમ : ‘જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ એટલો જસમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’
કાર્યરત રહેવામાં ખરી મજા છે. નાનુંમોટું કામ હાથ પર લીધા કરવાની ટેવ કેળવો. તેને કાળજીથી પાર પાડવા મથ્યા કરો. પછી ચિંતા આપોઆપ ગાયબ થઈ જશે. ચિંતાનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે તે વર્તમાન સમયની શક્તિનો હાસ કરી નાખે છે અને માણસને નિરાશાની ખાઈમાં ધકેલી દે છે. કોરી ટેન બૂમ સાચું જ કહે છે કે – ‘ચિંતા આપણી આવતી કાલનો વિષાદ ઘટાડવાથી નથી પણ એ આપણી આજની શક્તિમાં ઘટાડો કરે છે.’ ધર્મગ્રંથો એવો જ ઉપદેશ આપે છે કે તું તારા કાર્યમાં રોકાયેલો રહે, બીજાઓ શું કરે છે કે કહે છે એની ચિંતા કરવાનું છોડી દે.
– ડૉ. મોહનભાઈ પટેલ
શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2010
ફરી ક્યારેક…
ઘણીયે વાત બાકી છે પછી કરશું ફરી ક્યારેક
મજાનું મૌન છે, શબ્દોમાં ઓગળશું ફરી ક્યારેક…
બધાયે પાપ, પુણ્યોને મૂકીને મળ મને હમણાં,
જનમના લેખાંજોખાંને અનુસરશું ફરી ક્યારેક…
હજુ તો હમણાં આવેલું આંસુ છે ભલા માણસ,
ડૂમાનો તરજૂમો કરશું અને રડશું ફરી ક્યારેક…
નિરસ જીવનની આ લાંબી હકીકત આટલીક જ છે,
ઉતાવળમાં કહી દીધું તને મળશું ફરી ક્યારેક…
અવસ્થા સૌ પીડાના ટાંકણાની ભાત જેવી છે,
જરૂર પડશે તો એને પણ અનુભવશું ફરી ક્યારેક…
-અંકિત ત્રિવેદી
બુધવાર, 3 ફેબ્રુઆરી, 2010
ચાલો હસીએ
‘જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?’ ન્યાયાધીશે કનુને પૂછ્યું.‘જી, હા.’ પંદર વર્ષના કનુએ કહ્યું.‘તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?’‘એ જ કે હું કદી પરણીશ નહિ.’
*
‘જૂઠું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નહિ !’ રમાએ તેના પતિ કિશોરને કહ્યું.‘પણ હું ક્યાં ખોટું બોલ્યો છું ?’ કિશોરે કહ્યું.‘કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી ?’
*
પતિ-પત્ની ઝઘડી રહ્યાં હતાં.પતિ બરાડ્યો : ‘મારામાંના પ્રાણીને જગાડ નહિ !’પત્ની : ‘ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે !’
*
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’ટ્વિન્કલ : ‘Ba’શિક્ષક : ‘સોડિયમનું ?’ટ્વિન્કલ : ‘Na’શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’ટ્વિન્કલ : ‘Banana સર !’
*
માલિક : ‘હં, તો તમે નોકરી કરવા ઈચ્છો છો, ખરું ને ? તમે કદી જૂઠું બોલો છો ?’ઉમેદવાર : ‘ના, સાહેબ ! પણ એ તો હું શીખી લઈશ.’
*
ઊંચી ટાંકી પાસે જઈને એક ભાઈએ પાણી પીવા નળ ખોલ્યો. નળમાંથી એક ટીપું પણ ન નીકળ્યું.ભાઈ નિરાશ થયા.તેમણે ઉપર જોયું તો એક પાટિયું લગાવેલું હતું.તેમાં લખ્યું હતું : ‘BJP’ (બીજે પી !!)
*
પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈને દુ:ખી થતો મયંક બોલ્યો : ‘માલતી, તેં જો તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોત તો આપણે આ ગાડી જરૂર પકડી શકત.’‘હા,’ મયંકની પત્નીએ કહ્યું : ‘અને તેં જો મને આટલી બધી ઉતાવળ ન કરાવી હોત તો હવે પછીની ગાડી માટે આપણે આટલી બધી રાહ જોવી ન પડત.’
*
છગન : ‘હું કોફી પીઉં તો સૂઈ ના શકું.’મગન : ‘અલ્યા મારું તારાથી બિલકુલ જ ઊંધું છે. હું સૂતા પછી કૉફી નથી પી શકતો !’
*
મગને ચંપલ ખરીદ્યા પછી દુકાનદાર પાસે નવા વર્ષના કૅલેન્ડરની માગણી કરી ત્યારે દુકાનદારે કહ્યું : ‘આવતે મહિને ચંપલ ખરીદ્યાનું બિલ બતાવીને કૅલેન્ડર લઈ જજો.’‘જો બિલ ખોવાઈ જશે તો ચંપલ બતાવીને લઈ જઈશ.’
*
વૈદ્ય : ‘કાકા ! તમારા ડાબા ઘૂંટણમાં જે દરદ થાય છે તે ઉંમરને કારણે હોઈ શકે.’કાકા : ‘તમેય શું ધૂળ જેવી ફેંકી દેવા જેવી વાત કરો છો વૈદ્યરાજ ! મારા જમણા ઘૂંટણની પણ એટલી જ ઉંમર છે.’
*
એક કવિ તેના મિત્રને કહેતો હતો : ‘મેં જાતે મારો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો છે.’‘સારી વાત છે. કાંઈ વેચાણ થયું ?’‘હા, બધી જ ઘરવખરી વેચી દેવી પડી. હવે મકાન વેચવા કાઢ્યું છે !’
*
નોકર : ‘હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !’શેઠ : ‘અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં….’નોકર : ‘લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !’
સંકલિત
સોમવાર, 1 ફેબ્રુઆરી, 2010
ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ
મનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો આવેગ નથી આવતો. એટલે તે જડ છે. એટલે તે સુખદુ:ખથી પર છે. પણ પ્રાણીઓને ભૂખ લાગે છે. જેમ જેમ ભૂખ વધતી જાય છે તેમ તેમ તેનો આવેગ પ્રબળ થતો જાય. જેમ જેમ આવેગ પ્રબળ બનતો જાય તેમ તેમ તે પોતાની જાત ઉપરથી કાબૂ ગુમાવતાં જાય. તેનાં વિનય, વિવેક, સમજણ વગેરે આવેગના વંટોળમાં ઊડી જાય. સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ આવેગની તાણમાં તણાઈ જાય. આ કુદરતી વ્યવસ્થા છે. પ્રાણીમાત્ર આ વ્યથાની પકડમાં પકડાયેલાં છે.
મહાભારતમાં યુદ્ધમેદાનમાં હણાયેલા પોતાના સો પુત્રોનાં શબ જોઈને વ્યાકુળ બનેલી ગાંધારી હૃદયફાટ રુદન કરી રહી છે. આ કરુણ દ્રશ્ય જોઈને અર્જુનને પીડા થાય છે. જરૂર ગાંધારી રડી રડીને મરી જશે તેવી ખાતરી થાય છે. પણ શ્રી કૃષ્ણ ગંભીર છે. તે કહે છે, ‘અર્જુન, મારી પ્રકૃતિને જો. પ્રાણી ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય છે, એટલે વિશ્વ ચાલે છે.’ થોડી જ વારમાં ગાંધારીને ભૂખ લાગે છે. ક્રમે ક્રમે ભૂખનો આવેગ વધતો જાય છે. અહીં રણમેદાનમાં ખાવાનું ક્યાંથી લાવવું ? પણ તેની નજર દૂરના એક આમ્રવૃક્ષ ઉપર પડે છે. ત્યાં જઈને જુએ છે તો એક સરસ મજાની પાકેલી કેરી દેખાય છે. ઊંચા હાથ કરીને તોડવા પ્રયત્ન કર્યો પણ ત્યાં હાથ પહોંચાયો નહિ. ઊંચા થવા માટે પોતાના પુત્રનું શબ લઈ આવીને ઉપર ચડીને કેરીને તોડવાનો પ્રયત્ન કર્યો તોપણ કેરી ઊંચી જ રહી. એક પછી એક સોએ સો પુત્રોનાં શબ ગોઠવીને ગાંધારીએ કેરી તોડવા પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘જો અર્જુન, આ કુદરતની વ્યવસ્થા જો. ભૂખના આવેગ આગળ આ માતા રાંક થઈ ગઈ છે. પુત્રશોકમાં વ્યાકુળ બનેલી હવે એ જ સ્ત્રી ભૂખની પીડાથી વ્યાકુળ થઈને પુત્રોનાં શબ ગોઠવી રહી છે.
ભૂખનો આવેગ કુદરતી વ્યવસ્થા છે. તેમાં પણ બે વિભાગ છે : પેટમાંથી ઉત્પન્ન થયેલો આવેગ અને રસનેન્દ્રિયમાંથી સ્વાદ માટે ઉત્પન્ન થયેલો આવેગ. કુદરતે માત્ર ઉદરમાં જ ભૂખ મૂકી હોત અને સ્વાદનો આવેગ ન મૂક્યો હોત તો માણસ મોટા ભાગે મશીન કે અર્ધમશીન જેવો બની ગયો હોત. જેમ મોટરગાડીની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરી લેવાય છે તેમ માણસ પણ પોતાના ખાલી પેટમાં ગમે તે ખોરાક ભરી લેત. પણ માણસ મશીન નથી. તેને સ્વાદ જોઈએ છે. માત્ર પેટ ભરવાનો પ્રશ્ન નથી. સ્વાદિષ્ટ વસ્તુઓથી પેટ ભરવાનો પ્રશ્ન છે. ઘણી વાર ઉદર તૃપ્ત હોય પણ સ્વાદેન્દ્રિય અતૃપ્ત હોય. માત્ર સ્વાદેન્દ્રિયની તૃપ્તિ માટે જે ખોરાક લેવાય છે તે અસંયમ છે, અતિભોગ છે. તે કુદરતી પણ નથી. એટલે તેનાં પરિણામે રોગ છે. અહીંથી માણસની જવાબદારી શરૂ થાય છે. ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં પૂરક બને તો ખોરાક સુખરૂપ થવાની સાથે જીવન બને છે. પણ જો ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં વિરોધી બને તો ખોરાક દુ:ખરૂપ બનીને જીવનને મૃત્યુમાં પલટાવે છે. કેટલાક લોકોએ એવો માર્ગ શોધ્યો કે ખોરાક અને સ્વાદ બંનેનો ત્યાગ કરવો. આત્મબળ દ્વારા કે દુરાગ્રહ દ્વારા આવી પ્રક્રિયા થોડા દિવસો તો ચલાવી શકાય, પણ અંતે ખોરાકની અનિવાર્યતા રહેવાની જ. એટલે આ માર્ગમાં સાતત્ય નથી. ઘણી વાર એવું પણ બને કે ખોરાક અને સ્વાદનો ત્યાગ કરેલો હોય એવો માણસ અંતે બેબાકળો થઈને ખોરાક ઉપર તૂટી પડે. આ સંયમ નથી પણ નિગ્રહ છે. નિગ્રહ કુદરતી નથી. એટલે નિગ્રહની પાળ તૂટવાની જ છે. કોઈની બે દિવસ વહેલી તૂટે તો કોઈની બે દિવસ મોડી તૂટે. પણ નિગ્રહ કદી ચિરંજીવી ન હોઈ શકે. (હા, સંયમ જરૂર ચિરંજીવી થઈ શકે.) નિગ્રહની પાળ જ્યારે તૂટે છે ત્યારે તળાવનું સંગ્રહાયેલું તમામ પાણી વહી જાય છે. તળાવ ખાલી થઈ જાય છે અને વહેલું પાણી સ્વયં નષ્ટ થઈ, બરબાદી પ્રસરાવે છે, તેમ તૂટેલો નિગ્રહ પ્રચંડ વેગથી વહેવા માંડે છે. એટલે ખોરાકનો નિગ્રહ એ કલ્યાણમાર્ગ નથી.
કેટલાક લોકોએ એક બીજો માર્ગ શોધ્યો. તે છે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ. માપસરનો ખોરાક ખાવાનો પણ તેને સ્વાદ વિનાનો બનાવીને ખાવાનો. ખોરાક સ્વાદ વિનાનો હોય એટલે આપોઆપ તેની માત્રા ઓછી થઈ જાય. સ્વાદના કારણે વધુ ને વધુ ખાવાનો લોભ ન રહે. એટલે ખોરાકની માત્રા સીમિત થઈ જાય. આ માર્ગ પહેલા માર્ગ કરતાં થોડો ઠીક છે. પણ આમાં પણ નિગ્રહ તો છે જ. સ્વાદનો નિગ્રહ તન-મન બંનેને હાનિ પહોંચાડે છે તે વાત વૈરાગ્યભાવવાળા લોકો ભૂલી જાય છે. કુદરતે મુખમાં સ્વાદ મૂક્યો છે તે માત્ર સ્વાદસુખ મેળવવા કે અકરાંતિયા થઈને ખા ખા કરવા નથી મૂક્યો. પણ ખોરાક સાથે સ્વાદની અનિવાર્ય ઉપયોગિતા સ્થાપિત કરવા મૂક્યો છે. જેમ ઘંટીમાં અનાજ નાખો અને તેનો લોટ થઈ જાય, તેમ મોઢામાં ખોરાક મૂકો અને તે પકવાશયમાં જઈને પચી જાય તેવી વ્યવસ્થા નથી. ખોરાકને જોતાં જ તમારા મોઢામાં પાણી આવે, તો નિશ્ચિત પ્રકારના હૉર્મોન ઉત્પન્ન થાય. આ હૉર્મોન ખોરાકને પચાવવાના રસો ઉત્પન્ન કરે છે. આ રસોથી ખોરાક પચે છે. ખોરાકને જોઈને જ જો મોઢું બગડી જાય, કડવી દવા જોતાં તથા તે પીતાં જે દશા થાય છે તેવી દશા થાય તો ઊલટા હૉર્મોન ઉત્પન્ન થાય, તેથી ખોરાક પચે નહિ. સતત અપ્રિય ખોરાક ખાવાથી અજીર્ણ, મરડો, એનીમિયા અને અલ્પાહારની બીમારીઓ થવા લાગે છે. એટલે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ એ માર્ગ પણ યોગ્ય નથી.
જીવન માટે સ્વાદ જરૂરી છે. પણ સ્વાદ વિકૃત ન હોય, વિસંવાદી ન હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાદનો અત્યંત ત્યાગ જો લોકચાહના મેળવવા માટે કર્યો હોય તો તે વ્યક્તિના વ્યક્તિત્વ માટે પણ હાનિકારક છે. મોટા ભાગે કુદરતી જીવનનો ત્યાગ કોઈ ને કોઈ રીતે લોકચાહના માટે જ કરાતો હોય છે, કોઈ ખોરાક અને સ્વાદ છોડી દે અથવા સ્વાદ વિનાનો ખોરાક લે તો લોકો તેને ત્યાગ-વૈરાગ્ય માને છે. તેથી અંજાઈ જાય છે. અંજાયેલા લોકો આવી વ્યક્તિઓમાં ચમત્કારોની સૃષ્ટિ ઊભી કરે છે. ચમત્કારોની કાલ્પનિક સૃષ્ટિમાં પેલી વ્યક્તિનું વ્યક્તિત્વ નિરૂપણ થવા લાગે છે. આ આખા મિથ્યાવ્યક્તિત્વને પોષવા માટે પેલો ખોરાક અને સ્વાદનો ત્યાગ મૂલાધાર બને છે. એટલે ઉપરથી મહાન ગણાતા આવા પુરુષો અંદરથી વાંસ જેવા પોલા અને વ્યક્તિત્વ વિનાના બની જાય છે. લોકચાહનારૂપી લક્ષ્યને સિદ્ધ કરવા ખોરાક અને સ્વાદનો નિગ્રહ એ સાધના બની જાય છે.
આવા માણસોનું બરાબર નિરીક્ષણ કરશો તો દેખાશે કે તેઓ રોગી, ફિક્કા, નિસ્તેજ, દુર્બળ અને જોમ-જુસ્સ્સા વિનાના, મંદ ઈચ્છાશક્તિવાળા હોય છે. હા, જો લોકચાહના લક્ષ્ય ન હોય તો આટલી બધી વિકૃતિ નથી આવતી પણ મોટા ભાગે જ્યાં અકુદરતી નિગ્રહો જ પ્રતિષ્ઠાનું માપ બનતા હોય ત્યાં પ્રારંભમાં આવા નિગ્રહો પોતાની આત્મતૃપ્તિ માટે આચરાયા હોય તો પણ આગળ જતાં એ લોકચાહનાનાં સાધનો બની જતાં હોય છે. એટલે શરૂઆતમાં માત્ર સ્વેચ્છાથી જે વ્યક્તિ આવો નિગ્રહ કરતી હોય છે, તે આગળ જતાં સ્વેચ્છાની જગ્યાએ લોકેષણાના દબાણ નીચે આવી જતી હોય છે. લોકેષણાના દબાણમાં આવેલી વ્યક્તિને આગળ જતાં પોતાની ભૂલ સમજાય તો પણ તે ભૂલને સુધારી શકતી નથી, ઊલટાનું પોતાની ભૂલને જ આદર્શ, તપ અથવા ત્યાગનો જામો પહેરાવવાનું ચાલુ રાખે છે. પ્રજાની વિકૃતિનું આ મૂળ છે.
એક ત્રીજો માર્ગ છે. ખોરાક અને સ્વાદ બન્નેનો નિગ્રહ નહિ, પણ બંનેનો સંયમ. ખોરાક લેવાનો જ, તે પણ સ્વાદિષ્ટ ખોરાક લેવાનો, ઉચિત માત્રામાં હિત-મિત-પથ્ય સાથે લેવાનો. રસોઈ પણ કળા છે. તેનું પણ એક શાસ્ત્ર છે – ‘પાકશાસ્ત્ર’. આહાર એ કુદરતી વ્યવસ્થા છે. તનમનને રુચે, ગમે તેવો અને આરોગ્યનાં પરિણામ આપે તેવો યોગ્ય સ્વાદિષ્ટ ખોરાક લેવાનો જ. તેથી સુખ, તૃપ્તિ અને શાન્તિ ત્રણે મળે છે. ભૂખના આવેગને ત્રાસરૂપ માની તેમાંથી મુક્ત થવા ખોરાકનો નિગ્રહ કરવો અને સ્વાદના આવેગથી છૂટવા સ્વાદમાત્રનો નિગ્રહ કરવો, એ કુદરતી માર્ગ નથી, એટલે હિતાવહ પણ નથી. ભૂખ્યા માણસનું મન સતત ખોરાકનું ચિંતન કર્યા કરશે. જ્યારે તૃપ્ત થયેલા માણસનું મન ખોરાકથી પાછું હઠીને શાન્તિનો અનુભવ કરશે. અશાન્તિનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અત્યંત નિગ્રહ અને (2) અતિભોગ. આ બન્નેનો ત્યાગ કરી જે મધ્યમાર્ગી – સંયમી જીવન જીવે છે તે સુખશાન્તિનો અધિકારી બને છે.
[‘આવેગો અને લાગણીઓ’ પુસ્તકમાંથી સાભાર.]
શનિવાર, 16 જાન્યુઆરી, 2010
થાય શું !
જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !
જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !
સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી
સોમવાર, 11 જાન્યુઆરી, 2010
પ્રાર્થના
હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જતારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથીવંચિત ન રાખીશ. (સંત રાબિયા)
