બુધવાર, 8 જુલાઈ, 2009

ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો

ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો
એક શિષ્યે ગુરુને કહ્યું, ‘ગુરુજી, હું ક્રોધ પર કાબૂ નથી મેળવી શકતો. મને ગુસ્સો આવે ત્યારે એ મારા પર સવાર થઈ જાય છે. એનાથી છુટકારો મેળવવા શું કરું ? ગુરુએ કહ્યું :‘આ તો વિચિત્ર કહેવાય. મને ગુસ્સો કરી દેખાડ તો !’શિષ્યે કહ્યું : ‘આમ હમણાં ગુસ્સો ન આવે.’‘કેમ ?’‘ગુસ્સો તો અચાનક આવી જાય. કાંઈક મને ન ગમતું બને તો જ મારી કમાન છટકે.’‘તો પછી એનો અર્થ એ થયો કે ક્રોધ કરવો એ તારો ખરો સ્વભાવ નથી.’ ગુરુએ કહ્યું, ‘જો એ તારા સ્વભાવમાં જ હોત તો તું ગમે ત્યારે ગુસ્સો કરી દેખાડત. તારી અંદર જે નથી એને તું તારા પર સવાર કેમ થવા દે છે, જે વળી તારા જીવનની શાંતિ પણ હરી લે છે.’ આ સાંભળ્યા પછી શિષ્યને જ્યારે પણ ગુસ્સો આવતો ત્યારે એને ગુરુજીના આ શબ્દો યાદ આવી જતા અને આમ ધીમે ધીમે તે ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો. થોડા સમય પછી તો એ બિલકુલ ક્રોધરહિત અને શાંત થઈ ગયો.
બોધ : તમારા મૂળભૂત સ્વભાવને ઓળખો અને એ પ્રમાણે વર્તો.