મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

અત્તર અત્તર

ડૂબતો જા ભીતર ભીતર,
ખૂંપતો જા અંદર અંદર!

પાસ જઇને દેખી જો તું,
દૂરથી તો સુંદર સુંદર!

લાગતું કે અંગત છે એ,
દિલથી તો અંતર અંતર.

જિંદગીનો મારગ લાંબો,
ચાલ તો છે મંથર મંથર!

મઘમઘી જાયે તન ને મન,
યાદ એની અત્તર અત્તર!

- રાકેશ ઠક્કર

સુભાષિતો

વગર દીધે કોઈનું તણખલુંયે ગ્રહણ ન કરવું. અન્ય વ્યક્તિનું પાપકર્મ જાહેરમાં ન મૂકવું. કોઈ વ્યક્તિની પત્ની પર જાહેરમાં દોષારોપણ ન કરવું. સુખી થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

**

પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહન પર સવારી સારી – કારણ કે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોથી ઊંઘું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે (અતિ) દુ:ખકારક છે.

**

આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે માટે તે ન કરવી : નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી; અન્યને ઘેર વગર બોલાવ્યે વારંવાર જવું; જ્ઞાતિ તથા જ્ઞાતિના કોઈ સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું; તથા સંપત્તિનાશ થયા પછીનો દુ:ખદ ગાળો.

**

વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.