ગુરુવાર, 4 જૂન, 2009

ગુજરાતી ગઝલ

ગઝલ
પ્રેમનો જયાં થાય ગુણાકાર છે,
દુ:ખનો થઇ જાય ભાગાકાર છે.
તીર કે તલવારને ભૂલી જશો,
આ કલમ એથી ય પાણીદાર છે.

યાદ, તો ભગવાનને કરતા રહો,
આફતોનો એટલો આભાર છે.

સાજની મોહતાજ સુંદરતા નથી,
સાદગી બસ આપનો શણગાર છે.

મન મહીં ડૂબ્યા વગર શું જાણશો?,
અંતરે શાંતિ તો પારાવાર છે.
- રાકેશ ઠક્કર
http://www.gujaratikavita.com/ પર તા-4/6/2009 ના રોજ આ ગઝલ મુકાયેલ છે.

બુધવાર, 3 જૂન, 2009

ચિંતન


ચિંતન
સૃષ્ટિમાં વસ્તુઓ નાની નાની ચીજોની બનેલી છે. મોટી વસ્તુની પરિપૂર્ણતાનો આધાર નાની વસ્તુની પૂર્ણ દશા પર રહેલો છે. ધૂળની રજ વિના દુનિયા ઘડાત નહીં. આખી દુનિયા ખોડ વિનાની દીસે છે તેનું કારણ એ છે કે ધૂળની રજથી પરિપૂર્ણ છે. નાની બાબતોમાં બેદરકાર રહેવાથી મોટી બાબતોમાં ગોટાળો થાય છે. હિમનો કણ તારાના જેવો જ સર્વાંગશુદ્ધ હોય છે. ઝાકળનું બિંદુ ગ્રહના જેવું આકાશશુદ્ધ હોય છે. સુક્ષ્મ જંતુનો ઘાટ માણસના જેટલી જ ચોક્કસાઈથી ઘડાયેલો હોય છે. સારાંશમાં, રોજના વ્યવહારમાં સામાન્ય જણાતી બાબતો કેટલી અગત્યની છે તે મહાન વ્યક્તિ સમજે છે. તેવો માણસ કાંઈ છોડી દેતો નથી, ઉતાવળ કરતો નથી, કશાથી નાસી છૂટવા માગતો નથી, જે ફરજ આવે તે ધ્યાન દઈ બજાવે છે. તે કામ લંબાવતો નથી કે જેથી તેને પસ્તાવું પડે. હાથ પરનું કામ પૂરેપૂરું કરવાથી દેહાભિમાન વગરનો પ્રભાવ એકત્ર થાય છે, જેને પ્રભુતા કહે છે.સાચું અને હૈયે હોય તેવું જ બોલજો. કોઈ પણ રીતે કોઈને છેતરશો નહીં. નવરા બેઠા ગપ્પાં મારવાની આદત છોડી દો. બીજાઓના ઘરસંસારની, ખાનગી બાબતોની વાતો કરશો નહીં. બીજા પર આળ ચડાવશો નહીં કે ગુનાનો આરોપ મૂકશો નહીં. જેઓ નીતિના માર્ગે ચાલતા નથી તેમને દોષ દેશો નહીં. તેમના તરફ દયાભાવ દર્શાવી તમે તમારા માર્ગે જજો.
સ્થૂળ આંખોથી નહીં, પણ સત્યની શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ કે કેટલા જન્માન્તરોના અનુભવ મેળવી, જન્મમરણના લાગટ કેટલા ફેરા ફર્યા પછી તમે અધોગતિમાંથી ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચમાંથી ઉચ્ચતર સ્થિતિ મેળવી છે. તમારાં જ કર્મ અને વિચાર વડે, તમારા મનનાં હંમેશ બદલાતાં રહેલાં વલણોનું બંધારણ થયું છે, અને અત્યારની તમારી સ્થિતિનો કેટલો આધાર તમારા વિચાર અને કર્મ ઉપર છે એ તમે જોશો ત્યારે તમે તમારી પ્રકૃતિ સમજશો. આ રીતે પોતાનો સ્વભાવ સમજ્યા પછી તે જ ધોરણે તમે બીજાઓના સ્વભાવ સમજી શકશો, તેમના પર કરુણા રાખી શકશો અને તેમની સુખી કે દુ:ખી અવસ્થાનાં કારણો જાણી શકશો.
જો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો.- જેમ્સ એલન
હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે.- હેન્રી થૉરો