મંગળવાર, 10 નવેમ્બર, 2009

વાંચનની કળા

[1]વાચન ભલે ઓછું થાય, પણ ઊંડું કરજો. હજાર પુસ્તક પચાવ્યા વિના વાંચનારના કરતાં એક જ પુસ્તક પચાવનાર વધારે જાણે છે. – ગાંધીજી
[2]જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી, ઓછું કે વધું વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડનો સવાલ છે. પણ ગમે તેટલું ઓછું વાંચવા છતાં જો વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તો તેની અનિવાર્ય શરત એ છે કે મનને ખુલ્લું રાખવું અને સત્યજિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈપણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. – પંડિત સુખલાલજી
[3]જે માણસ વાંચી શકે એમ હોય છતાં સરસ મઝાનાં પુસ્તકો વાંચતો નથી એ માણસને જે માણસો વાંચી શકતા નથી એના જેવો જ ગેરલાભ થાય છે. – માર્ક ટ્વેઈન
[4]જીવનમાં આપણે આમતેમ પડ્યા હોઈએ છીએ ત્યારે પુસ્તકો આપણને ફરી પાછાં કદાચ ઠીકઠાક કરી દે છે, જેમ માનો કાળજી ભર્યો હાથ ઘરની અવ્યવસ્થાને ફરી પાછો વ્યવસ્થિત કરી દે એમ. પુસ્તકો આપણી ભૂમિમાં વવાય છે એટલું જ. એમાંથી શું ઉગશે એની ખુદ જમીનને પણ ક્યાં ખબર હોય છે ? – સુરેશ દલાલ
[5]કેટલું કામ કરો છો એ નહિ, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની વિપુલતા નહિ પણ શ્રેષ્ઠતા સાધવાનો આદેશ છે. ફ્રાન્સના અગ્રણી તત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું : ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું : ‘જો બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો તમે મારા શિષ્ય ન પણ હોત !’ એ શ્રેષ્ઠતાએ, ઉપાસનાએ, કલામાં ને વિસ્તારમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપનાવનાર મંત્ર છે. – ફાધર વાલેસ
[6]પુસ્તક વાંચવાની આદત પ્રશંસનીય છે પરંતુ જેઓ ઘણાંબધાં પુસ્તકો ઝપાટાબંધ વાંચી નાખે છે એમના પ્રત્યે હું આશંકાથી જોઉં છું. મને એવી શંકા થાય છે કે ઝપાટાબંધ ઘણાં પુસ્તકો વાંચનારાઓ એ પુસ્તકોને ચીવટથી વાંચતા નહિ હોય. તેઓ પાનાં ઊથલાવ્યે જતાં હશે અને એક-બે દિવસોમાં વાંચેલું વિસરીયે જતાં હશે. પુસ્તક જો વાંચવા જેવું હોય તો એને પૂરતા લક્ષ અને પૂરતી ચીવટથી વાંચવું જોઈએ. – જવાહરલાલ નહેરુ
[7]વાચનનું સુખ ઘણાં પુસ્તકોથી નહિ પણ ઘણા વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની ખાસ જરૂર છે. – મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
[8]ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય. – સર પ્રભાશંકર પટ્ટણી
[9]ખેડૂત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગ્યાએ ઊંડો કૂવો કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયોનો સ્પર્શ કરવો જોઈએ અને તે સાથે એક વિષયમાં ઊંડા ઊતરવું જોઈએ. – બાબુ ક્ષિતિમોહન સેન
[10]પૂરેપૂરા નિરક્ષર, બીનકેળવાયેલા માણસ રહો; પરંતુ જો તમે એક સારા પુસ્તકનાં દસ પાનાં, અક્ષરેઅક્ષર એટલે કે પૂરેપૂરી ચોકસાઈથી વાંચો તો તમે હંમેશ માટે વધારે પ્રમાણમાં કેળવાયેલા માણસ બનો. કેળવણી અને બીનકેળવણી વચ્ચેનો ખરો તફાવત (કેળવણીના બૌદ્ધિક વિભાગ પૂરતો વિચાર કરતાં) આ ચોકસાઈમાં જ રહ્યો છે. – રસ્કિન.

[‘વાચનની કળા’ પુસ્તકમાંથી સાભાર.]