સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

પરિચયથી વધારે.

જીવનને ભરી બાથ અમે ભયથી વધારે,
જીવાઈ ગયું દોસ્ત પછી વયથી વધારે.


પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો,
શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે.


ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.


જ્યાં આપ મળો માર્ગમાં તો એમ મને થાય,
હું ઓળખું છું આપને પરિચયથી વધારે.


કોઈને અહીં સાંભળી તું રાખ હૃદયમાં,
ક્યારેક દિલાસા બને આશ્રયથી વધારે.


જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.

- ગૌરાંગ ઠાકર