મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

સુભાષિતો

વગર દીધે કોઈનું તણખલુંયે ગ્રહણ ન કરવું. અન્ય વ્યક્તિનું પાપકર્મ જાહેરમાં ન મૂકવું. કોઈ વ્યક્તિની પત્ની પર જાહેરમાં દોષારોપણ ન કરવું. સુખી થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

**

પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહન પર સવારી સારી – કારણ કે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોથી ઊંઘું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે (અતિ) દુ:ખકારક છે.

**

આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે માટે તે ન કરવી : નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી; અન્યને ઘેર વગર બોલાવ્યે વારંવાર જવું; જ્ઞાતિ તથા જ્ઞાતિના કોઈ સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું; તથા સંપત્તિનાશ થયા પછીનો દુ:ખદ ગાળો.

**

વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.

ટિપ્પણીઓ નથી: