ક્યાં પછી કોઈ કોઈનું માને ?
સૌ ગણે સુજ્ઞ પોતપોતાને !
વ્યગ્ર છે વાત સૌ કહેવાને,
પણ ધરે કોણ વાતને કાને ?
‘રામ’ બોલીને ચૂપ થઈ જાશે,
બસ પઢાવ્યું છે એ જ તોતાને !
ચમકી ચમકીને કેટલું ચમકે ?
સૌ ધૂએ છે ઘસી મસોતાને !
ક્યાં સુધી રસ પછી મળે મુજને ?
ચાવતો બસ રહું છું છોતાને !
આ ગઝલ અન્ય કૈં નથી ‘સુધીર’
દર્દનો દઉં હિસાબ શ્રોતાને !
-સુધીર પટેલ
બુધવાર, 10 ફેબ્રુઆરી, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો